મધ્ય પદેશના રાજકીય ઘમાસાણ વચ્ચે બેંગલુરૂની એક હોટલમાં રોકાયેલા કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચેલા દિગ્વિજય સિંહે ડ્રામેબાજી કરી છે. તેમને આરોપ લગાવ્યો છે કે, આ 22 ધારાસભ્યોને ભાજપે કિડનેપ કરીને રાખ્યા છે અને તેમનું જીવન જોખમમાં છે. પરંતુ આ ધારાસભ્યોએ કોંગ્રેસને સનસણતો તમાચો માર્યો છે.
કોંગ્રેસના ધારાસભ્યોએ એક વીડિયો જાહેર કરી કહ્યું છે કે, તેઓ છેલ્લા એક વર્ષથી પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળીને તેમની સાથે વાત કરવા માંગતા હતાં પરંતુ તેમનું કોઈએ સાંભળ્યું જ નહીં. કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ દોહરાવ્યું છે કે તેમને જીવનું કોઈ જોખમ ના હોવાનું કહીને કોંગ્રેસનો દાવ ઉંધો વાળી દીધો છે.
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ મુખ્યમંત્રી કમલનાથના દાવાને ફગાવતા કહ્યું છે કે, અમને કોઈએ બંધક બનાવ્યાં નથી. અમે અમારી મરજીથી બેંગ્લુરુમાં છીએ. મધ્યપ્રદેશના પૂર્વ પરિવહન મંત્રી અને ધારાસભ્ય ગોવિંદસિંહ રાજપૂતે કહ્યું કે, અનેકવાર અમે મીડિયામાં સાંભળ્યું કે અમને લોકોને બંધક બનાવવામાં આવ્યાં છે. પરંતુ અમે એ જણાવવા માંગીએ છીએ કે અમને બંધક બનાવીને નહીં પરંતુ અમે સ્વેચ્છાએ આવ્યાં છીએ.
આ ધારાસભ્યોએ એમ પણ કહ્યું છે કે અમને કોંગ્રેસના કોઈ જ નેતાઓને મળવામાં રસ જ નથી. ઉપરાંત બળવાખોર ધારાસભ્યોએ કર્ણાટકના ડીજીપીને અપીલ પણ કરી છે કે, કોઈ પણ કોંગ્રેસ નેતાને તેમને મળવા દેવામાં ન આવે. બળવાખોર ધારાસભ્યોએ લખ્યું કે અમારે કોંગ્રેસના કોઈ નેતાને મળવું નથી.
કોંગ્રેસના બળવાખોર નેતાઓએ કહ્યું છે કે, સિંધિયાજી અમારા નેતા છે અને તેઓ જેમ કહેશે તેમ કરીશું. અમે હજુ ભાજપમાં સામેલ થવા પર વિચાર્યું નથી પરંતુ સિંધિયાજીનો આદેશ અમે માનીશું.
ભાજપ તરફથી શિવરાજ સિંહ ચૌહાણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યાં હતાં. દેશની ટોચની કોર્ટે તેના પર સુનાવણી શરૂ કરી છે. કોંગ્રેસ કોરોનાને બહાનું બનાવીને બહુમત પરીક્ષણથી બચવાની કોશિશ કરી રહી છે.