– તેઓ સૂર્યમંડળના અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમના ઉપાસકો અલૌકિક તેજ મેળવે છે અને કાંતિમય બને છે
અમદાવાદ, તા. 30 સપ્ટેમ્બર 2022, શુક્રવાર
માતા દુર્ગાના પાંચમા સ્વરૂપનું નામ સ્કંદમાતા છે.નવરાત્રીના પાંચમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે.પુરાણો અનુસાર મા સ્કંદમાતા કમળ પર બિરાજમાન છે માટે તેમને પદ્માસના દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે.તેમના ખોળામાં 6 મુખ ધરાવતાં સ્કંદ કુમાર બિરાજમાન હોય છે.સ્કંદમાતાની પૂજા કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને શત્રુઓનો વિનાશ થાય છે.
જાણો કોણ છે સ્કંદમાતા
આ દેવીની 4 ભુજાઓ છે અને તેમણે જમણી બાજુની ઉપરની ભુજા વડે ભગવાન સ્કંદને ખોળામાં પકડી રાખ્યા છે.નીચેની ભુજા વડે તેમણે કમળ પુષ્પ ધારણ કર્યું છે.ડાબી બાજુ ઉપરની ભુજા વરદમુદ્રામાં છે જ્યારે નીચેની ભુજા વડે કમળ પુષ્પને ધારણ કર્યું છે.તેઓ કમળ પર બિરાજે છે માટે પદ્માસના દેવી તરીકે પણ ઓળખાય છે.તેઓ પોતાના ભક્તો પર ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જતા હોવાનું માનવામાં આવે છે અને તેમની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાનું માનવામાં આવે છે.
*******
આ રીતે કરો સ્કંદમાતાની પૂજા
નવરાત્રીનો પાંચમો દિવસ સ્કંદમાતાને સમર્પિત હોય છે.આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ.આ રંગ જીવનમાં શાંતિ,પવિત્રતા,ધ્યાન અને સકારાત્મકતા ફેલાવે છે.પાંચમા દિવસે સ્નાન બાદ માતાની પૂજા કરવી જોઈએ.તેમાં માતાની મૂર્તિ કે તસવીરને ગંગાજળ વડે પવિત્ર કર્યા બાદ કુમકુમ,અક્ષત,ફૂલ,ફળ વગેરે અર્પિત કરવા જોઈએ.બાદમાં મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ.માતા સામે ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ અને શ્રદ્ધાપૂર્વક સ્કંદમાતાની પૂજા કરવી જોઈએ.ત્યાર બાદ ઘંટડી વગાડીને માતાની આરતી કરો અને કથાનો પાઠ કરો.અંતમાં સ્કંદમાતાના મંત્રોનો જાપ કરો.
વિશેષ પ્રસાદ વડે સંતાનપ્રાપ્તિ
સ્કંદમાતાને કેળાનો ભોગ ધરો અને બાદમાં તેને પ્રસાદમાં ગ્રહણ કરો.તેનાથી સંતાન અને સ્વાસ્થ્ય એમ બંનેની અડચણો દૂર થશે.શાસ્ત્રોમાં સ્કંદમાતાનો મહિમા વર્ણવવામાં આવેલો છે. તેમની ઉપાસના કરવાથી ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.તેઓ સૂર્યમંડળના અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમના ઉપાસકો અલૌકિક તેજ મેળવે છે અને કાંતિમય બને છે.