– આર્યન ખાન 20 વર્ષની ઉંમરથી ડ્રગ્સ લેતો હોવાની વાત સામે આવી
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન માટે આજનો (4 ઓક્ટોબર) દિવસ મહત્ત્વનો છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) આર્યનની કસ્ટડી કોર્ટમાં માગશે નહીં.વકીલ સતીશ માનશિંદે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરશે.આર્યનની આજે કસ્ટડી પણ પૂરી થઈ રહી છે. NCB કોર્ટમાં આર્યન ખાન પાંચ ઓક્ટોબર સુધીની એટલે કે વધુ એક દિવસની કસ્ટડી માગશે અને તે અંગેની અરજી કોર્ટમાં દાખલ કરી છે.
ડ્રગ્સ પાર્ટી કેસમાં આજે (ચાર ઓક્ટોબર)ના રોજ NCBની ટીમ શાહરુખના બંગલે મન્નતમાં દરોડા પાડી શકે છે.આ કાયદાકીય જોગવાઈ છે કે જો કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવે તો તેના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે.આ જોગવાઈ હેઠળ NCBની ટીમ મન્નતમાં દરોડા પાડી શકે છે.જો ક્રૂઝ કેસમાં કોઈ પણ લિંક મળે છે તો દરોડા પડી શકે છે.
‘આજ તક’ના અહેવાલ પ્રમાણે, NCBની પૂછપરછમાં આર્યન ખાને કહ્યું હતું કે તે 20 વર્ષની ઉંમરથી, એટલે કે છેલ્લાં 4 વર્ષથી ડ્રગ્સ લે છે.
આર્યનની સાથે જ ધરપકડ કરાયેલા અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની પણ કસ્ટડી આજે પૂરી થઈ રહી છે.કોર્ટમાં જતાં પહેલાં NCB ત્રણેયને સામ-સામે બેસાડીને પૂછપરછ કરે એવી શક્યતા છે.આર્યન ખાને NCBની ઓફિસમાં જ રાત પસાર કરી હતી.સૂત્રોના મતે, આર્યન તથા અરબાઝની સામ-સામે બેસાડીને પૂછપરછ કરાઈ હતી.
ક્રૂઝમાં ફરી દરોડા
આજે (4 ઓક્ટોબર) સવારે છ વાગે 20 અધિકારીઓની ટીમ સમીર વાનખડેના નેતૃત્વમાં ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા અને ક્રૂઝમાંથી છ લોકોની ધરપકડ કરી હતી.આ ઉપરાંત ક્રૂ મેમ્બરની પૂછપરછ પણ કરવામાં આવી છે.આ દરમિયાન 1800 લોકોની યાદી લેવામાં આવી છે. NCBએ શ્રેયાસ નાયરની સૌ પહેલાં ધરપકડ કરી છે.
આજે અન્ય 5 આરોપીને કોર્ટમાં રજૂ કરશે
3 ઓક્ટોબર, રવિવાર મોડી સાંજે આ કેસમાં NCBએ અન્ય પાંચ આરોપીની ધરપકડ કરી હતી, જેમાં નૂપુર સારિક,ઇસ્મિત સિંહ,મોહક જસવાલ,વિક્રાંત છોકર તથા ગોમિત ચોપરા.આ તમામને NCB આજે કોર્ટમાં રજૂ કરીને જ્યુડિશિયલ કસ્ટડી માગી શકે છે.અન્ય એક વ્યક્તિની બેલાપુરથી ધરપકડ કરવામાં આવી છે, પરંતુ તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
NCBએ ડ્રગ્સ નેકસેસ સાથે જોડાયેલા હોવાની વાત કહી
સરકારી વકીલ અદ્વૈત સેતનાએ કોર્ટમાં કહ્યું હતું કે આરોપીઓ પાસેથી વ્હોટ્સ એપ ચેટ મળી હતી અને એની તપાસ ચાલુ છે.આ ઉપરાંત આરોપીઓ પાસેથી પ્રતિબંધિત ડ્રગ્સ પણ મળ્યું છે.સેતનાએ કહ્યું હતું કે આરોપીઓની વ્હોટ્સએપ ચેટથી ખ્યાલ આવે છે કે ડ્રગ કન્ઝપ્શન તથા ડ્રગ નેકસેસ જોડાયેલા છે.ત્યાર બાદ અદ્વૈતે સ્ટેટ વર્સિસ અનિલ શર્મા કેસનો ઉલ્લેખ કરીને આર્યનની કસ્ટડી માગી હતી.
આર્યનના વકીલે કહ્યું, તેની પાસેથી ડ્રગ્સ મળ્યું નથી
આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે તેમના ક્લાયન્ટનો કેસ જામીનપાત્ર છે.તે રવિવાર હોવાને કારણે જામીન અરજી દાખલ કરી શકે એમ નથી.આયોજકોએ આર્યનને બોલાવ્યો હતો.ક્રૂઝની ટિકિટ પણ તેની પાસે નહોતો અને તેની પાસેથી કંઈ જ મળ્યું નથી.તેના મોબાઈલની તપાસ થઈ ચૂકી છે.
આર્યન પર આ કલમ હેઠળ કેસ કરવામાં આવ્યો
આર્યન ખાન પર NDPC (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટ 1985) 80 C, 20 B, 27 તથા 35 કલમ લગાવવામાં આવી છે, જેમાં ડ્રગ્સ લેવું,જાણીજોઈને ડ્રગ્સ લેવું તથા ખરીદી કરવી એવી બાબતો આવે છે.આર્યને ડ્રગ્સ ખરીદ્યુ હોવાના વાતનો ઇનકાર કર્યો હતો.