નવી દિલ્હી : એનડીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ ઓડિશાના આદિવાસીઓનું વર્ચસ્વ ધરાવતા મયૂરગંજ જિલ્લાથી તેમની જાહેર જીવનની યાત્રા શરૂ કરી ત્યારથી દેશના સર્વોચ્ચ નાગરિકપદની રેસ સુધીની યાત્રા દરમિયાન તેમણે ઘણું સહન કરવું પડ્યું છે.તેમનું જીવન ખાસ્સું સંઘર્ષમય રહ્યું છે.વર્ષ 2009થી 2015ના છ વર્ષનો ગાળો મૂર્મૂ માટે ખૂબ જ તકલીફદાયક રહ્યો.આ ગાળામાં તેમના પતિનું અવસાન થયું,બે પુત્રોનું અવસાન થયું,માતાનું અવસાન થયું અને ભાઈ પણ ગુમાવ્યો.છ વર્ષમાં પાંચ આપ્તજન ગુમાવ્યા.
તેમને બે પુત્ર અને એક પુત્રી.2009માં એક પુત્રનું અવસાન થયું અને ત્રણ વર્ષ બાદ બીજા પુત્રનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું.તેમના પતિ શ્યામશરણ મુર્મૂનું હૃદયરોગના હુમલામાં મૃત્યુ થયું હતું.તેમની પુત્રી ઈતિશ્રી ઓડિશાની એક બેન્કમાં નોકરી કરે છે.
મુર્મૂ તેમના પતિના અવસાન બાદ બ્રહ્માકુમારીની મેડિટેશનલ(ધ્યાન)ટેકનિક દ્વારા સ્વસ્થતા મેળવી.આમ તો તેઓ માઉન્ટ આબુ સ્થિત બ્રહ્માકુમારી સંસ્થાનમાં માત્ર 13 વર્ષની વયના હતા ત્યારથી જોડાયેલા છે.20 જૂન,1958ના રોજ ઓડિશાના એક સરળ સંથાલ આદિવાસી પરિવારમાં દ્રૌપદી મુર્મૂનો જન્મ થયો હતો.1997માં તેમણે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.સૌપ્રથમ તેઓ રાયરંગપુરમાં જિલ્લા બોર્ડના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા.
રાજનીતિમાં પ્રવેશ અગાઉ તેઓ શ્રી ઓરોબિન્દો ઈન્ટિગ્રલ એજ્યૂકેશન એન્ડ રિસર્ચ(રાયરંગપુર)ખાતે માનદ્ સહાયક શિક્ષક તરીકે કામ કરતા હતા.ત્યારબાદ સિંચાઈ વિભાગમાં જૂનિયર આસિસ્ટન્ટ તરીકે પણ નોકરી કરી હતી.તેઓ બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને નવીન પટનાયક સરકારમાં(જ્યારે ભાજપ સાથે બિજુ જનતાદળની સંયુક્ત સરકાર હતી તે સમયે)મંત્રી પણ રહી ચૂક્યા છે.
તેમને ઓડિશા વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો નીલકંઠ એવોર્ડ પણ મળ્યો છે.જો તેઓ રાષ્ટ્રપતિ બનશેતો દેશના સૌપ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બનશે અને દેશના બીજા મહિલા આદિવાસી બનશે.ઝારખંડના ગવર્નર તરીકે તેઓ ગયા વર્ષે 12 જુલાઈ,2021ના રોજ ટર્મ પૂરી થયા બાદ તેમના વતન રાયરંગપુર રહેવા જતા રહ્યા હતા