બિહાર વિધાનસભાની ચૂંટણી માથા પર છે ત્યારે એક તરફ લોજપાના ચિરાગ પાસવાન ભાજપ પર નારાજ હતા ત્યારે બીજી બાજુ ખેડૂતો અંગેના કેન્દ્રના નિર્ણયના પગલે એનડીએનો બીજો ઘટક પક્ષ શિરોમણી અકાલી દળ પણ ભાજપ પર નારાજ થઇ રહ્યો હોવાના અણસાર મળ્યા હતા.શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંઘ બાદલે બુધવારે પરોક્ષ રીતે ભાજપને એવી ચેતવણી આપી હતી કે ખેડૂતોનાં હિતોના રક્ષણ માટે અકાલી દળ કોઇ પણ બલિદાન આપવા તૈયાર હતું. સંસદમાં રજૂ થયેલા ખેડૂતો અને ખેતીવાડી અંગેના ત્રણ ખરડાનો ખુલ્લો વિરોધ કરતાં કહ્યું કે મોદી સરકારે ખેડૂતોનાં હિતનો પહેલાં વિચાર કરવો જોઇએ.
સમાધાન ન થાય ત્યાં સુધી સરકારે આ ત્રણ ખરડા મંજૂર ન કરવા
સુખબીર સિંઘ બાદલે કહ્યું હતું કે જ્યાં સુધી વિવિધ ખેડૂત સંઘો અને ખેતમજૂરોને સંતોષ ન થાય અને એમની માગણીઓ અંગે એમને સમાધાન ન થાય ત્યાં સુધી સરકારે આ ત્રણ ખરડા મંજૂર ન કરવા જોઇએ.સરકાર આ ખરડા બહાલ કરશે તો એનાં જે પરિણામો આવે એની જવાબદારી સરકારની પોતાની રહેશે. બાદલે ઉમેર્યું કે આ ખરડા ખેડૂતોનાં હિત વિરોધી હતા.
પ્રસ્તાવો ખેડૂત સંઘેા અને ખેતમજૂર સંઘોને અન્યાયકારી લાગ્યા
સરકારે તૈયાર કરેલા ખરડાનો સાર આ મુજબ છે- 1) ખેડૂતને અનુકૂળ લાગે એવો ભાવ એના પાકનો મળે ત્યાં પોતાનો પાક વેચી શકે એવી તક પૂરી પાડવી, 2) કોઇ પણ નિયંત્રણ વગર ખેતપેદાશોનો આંતરરાજ્ય વેપાર અને 3) ખેતપેદાશોના વેચાણ માટેનું આંતરમાળખું તૈયાર કરવું.આ પ્રસ્તાવો ખેડૂત સંઘેા અને ખેતમજૂર સંઘોને અન્યાયકારી લાગતા હતા. વડા પ્રધાને આત્મનિર્ભર ભારતના પોતાના વિચાર હેઠળ આ પ્રસ્તાવો તૈયાર કરાવ્યા હતા.
કેન્દ્ર સરકારે પોતાના ઘટક પક્ષોને વિશ્વાસમાં લેવા જોઈએ
સુખબીર સિંઘ બાદલે કહ્યું કે આપણે લોકશાહીમાં જીવી રહ્યા છીએ.આ ત્રણ પ્રસ્તાવો તૈયાર કરતી વખતે કેન્દ્ર સરકારે પોતાના ઘટક પક્ષોને વિશ્વાસમાં લેવા જોઇતા હતા.આ તો ઘટક પક્ષો પર પોતાના વિચારો ઠોકી બેસાડવા જેવું થયું.