એરફોર્સ સ્ટેશન હલવારાથી લુધિયાણા તરફ હયાત રિજન્સી હોટલ જતા રાહુલ ગાંધીની ગાડી પર હર્ષિલા રિસોર્ટ સામે એક યુવકે કોંગ્રેસ પાર્ટીનો ઝંડો માર્યો,જે સીધો રાહુલ ગાંધીના મોઢા પર વાગ્યો છે.રાહુલ ગાંધીને એને કારણે ઈજા પણ થઈ હતી. કારને સુનીલ જાખડ ચલાવતા હતા અને મુખ્યમંત્રી ચરણજિત સિંહ ચન્ની અને પાર્ટી પ્રધાન નવજોત સિંહ સિદ્ધુ પાછળની સીટ પર બેઠા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, યુવાનોનું આ ગ્રુપ પાર્ટી સંગઠન NSUIનું હતું.આ ગ્રુપમાંથી એક યુવકે કોંગ્રેસ પાર્ટીનો ઝંડો રાહુલ ગાંધી તરફ ફેંક્યો હતો, જે તેમના મોઢા પર જઈને વાગ્યો હતો.કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના સ્વાગતમાં ઊભા હોવાથી તેમણે કારનો કાચ પણ નીચો રાખ્યો હતો.એ દરમિયાન જ આ ઘટના બની હતી.આ ઘટના બનતાં રાહુલ ગાંધીની કાર ચલાવતા સુનીલ જાખડે સહેજ પણ બેલેન્સ ગુમાવ્યા વગર કાર લુધિયાણા તરફ લઈ લીધી હતી.જોકે પોલીસ તરફથી આ વિશે હજી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
યુવકે કહ્યું- ઝંડો આપવાના પ્રયત્નમાં થઈ આ ભૂલ
એરફોર્સ સ્ટેશન હલવારાથી લુધિયાણા તરફ હયાત રિજન્સી હોટલ જતા રાહુલ ગાંધીની ગાડી પર હર્ષિલા રિસોર્ટ સામે કોંગ્રેસ પાર્ટીનો ઝંડો ફેંકનાર યુવકની ઓળખ એનએસયુઆઇના કાર્યકર્તા નદીમ ખાન તરીકે થઈ છે.આ ઘટનામાં પોલીસે યુવકની રાઉન્ડ અપ પૂછપરછ કરી છે.પોલીસને આપેલા નિવેદનમાં નદીમ ખાને જણાવ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીની રેલીમાં જતા હતા.
રવિવારે પણ તેમની ટીમ રાહુલ ગાંધીના સ્વાગત માટે હર્ષિલા રિસોર્ટ આવી હતી.જ્યારે રાહુલ ગાંધીનો કાફલો એરફોર્સ સ્ટેશન હલવારાથી લુધિયાણા તરફ જતો હતો ત્યારે હર્ષિલા રિસોર્ટ બહાર પાર્ટી કાર્યકર્તાઓ અને તેમના સંગઠનના લોકોની ભીડને કારણે કાફલો ધીમે ચાલતો હતો.નદીમે જણાવ્યું હતું કે તે રાહુલ ગાંધીને ઝંડો આપવા માગતો હતો,પરંતુ ભીડ હોવાને કારણે તે એટલે સુધી પહોંચી શકે એમ નહોતો,તેથી તે ઝંડો ફેંકીને રાહુલ ગાંધી સુધી પહોંચાડવા માગતો હતો.આ બધું એટલું અચાનક થઈ ગયું કે તેને પણ ખબર ના પડી કે તેનાથી આ ભૂલ કેવી રીતે થઈ ગઈ.
NSUIનો કાર્યકર્તા જમ્મુ-કાશ્મીરનો
ઝંડો ફેંકનાર NSUIનો કાર્યકર્તા જમ્મુ-કાશ્મીરમાં રહે છે.તેનું કહેવું છે કે, તે તેના નેતાને ઝંડો ભેટ સ્વરૂપે આપવા માંગતો હતો.અમે તેમનું સ્વાગત કરવા જ ત્યા ઉભા હતા.હું તેમને ફૂલ પણ આપવા માંગતો હતો પરંતુ ત્યારે મારા હાથમાં માત્ર ઝંડો જ હતો તેથી તે એમને આપવાનો પ્રયત્ન કરતો હતો.ઝંડો આપવાના પ્રયત્નમાં જ આ ભૂલ થઈ ગઈ.ડીએસપી દાખા જતિંદરજીત સિંહે કહ્યું કે, પૂછપરછ પછી નદીમ ખાનને છોડી દેવામાં આવ્યો છે.આ વિશે પાર્ટી તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. તેથી અંતે પોલીસે પણ એવું માન્યું છે કે, ભાવુક થઈને તેનાથી આ ભૂલ થઈ ગઈ છે.પોલીસે તેનું નિવેદન નોંધીને તેને છોડી દીધો છે.આ વિશે કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો નથી.