રાજકોટ,તા. 8 : રાજકોટમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના પ્રવાસ બાદ ઓચિંતા જ સપાટી પર આવેલા પાટીદાર અવાજમાં ગઇકાલે રાજકોટ શહેરના ભાજપના કેટલાક પૂર્વ કોર્પોરેટરો અને અગ્રણીઓની જે બેઠક મળી હતી તેમાં પક્ષ દ્વારા સંગઠનમાં છેલ્લા કેટલાક સમયથી પાટીદારોને અન્યાય થતો હોવાની ફરિયાદ છેક મોવડી મંડળ સુધી પહોંચાડવા નિર્ણય લેવાયો હતો.
આ બેઠકમાં હાજર રહેલા સુત્રોએ કહ્યું કે,રાજકોટ શહેર ભાજપમાં જ્યારે નવું સંગઠન રચાઈ રહ્યું છે તે સમયે કોઇ એક જૂથ જ વર્ચસ્વ જમાવી જાય તેવી સ્થિતિ બનશે તેવો અમને ભય છે અને પાટીદારોને અન્યાય પણ થશે.ખાસ કરીને આગામી સમયમાં જે ચૂંટણીઓ આવી રહી છે તે જોતા તેઓએ પોતાની વાત મોવડી મંડળ સુધી પહોંચાડવી તે માટે આ બેઠકોનો દોર શરુ કર્યો છે.જો કે આ બેઠકોમાં કોણ-કોણ હાજર રહ્યા તે અંગે મૌન ધારણ કરતાં કહ્યું કે પાટીદારોમાં જેઓને પક્ષમાં અન્યાય થાય છે તેઓ તમામ અમારી બેઠકમાં હાજર હતા અને ખાસ કરીને હાલમાં જે રીતે ભાજપના પાટીદાર મહિલા કોર્પોરેટરે પક્ષાંતર કર્યું તે પક્ષ માટે આંખ ઉઘાડનારું બની રહેવું જોઇએ અને શા માટે મહિલા કોર્પોરેટરને ભાજપ છોડવું પડ્યું તેના કારણોની તપાસ મોવડી મંડળ કરે તો ચોંકાવનારા સત્યો બહાર આવે તેમ છે.
આ બેઠકમાં એવો આક્ષેપ થયો કે, કેટલાક ‘રોટલીયા’ લોકોએ પક્ષ પર કબજો જમાવ્યો છે અને અમારો વિરોધ તેના સામે છે,પક્ષના નિષ્ઠાવાન લોકોને નજરઅંદાજ કરાય તો અંતે પક્ષને જ નુકસાન થશે.પાટીદારોને એકબાજુ રાખવાની વૃતિ સાંખી લેવામાં આવશે નહીં.આ બેઠકમાં લેઉવા અને કડવા બંને સમુદાયના અગ્રણીઓ હાજર હોવાનો દાવો થયો છે.