ઈસ્લામાબાદ : પાકિસ્તાની સરકા અને સેનાની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય મંચો પર અવાજ બુલંદ કરનારી બલૂચિસ્તાનની એક્ટિવિસ્ટ કરીમા બલોચનું કેનેડામાં સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થયું છે.કરીમા રવિવારે ગુમ થઈ ગઈ હતી અને તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.કરીનાનું શબ ટોરેન્ટોથી મળી આવ્યું છે.હાલ કરીમાના મોતનું કારણ સ્પષ્ટ નથી થઈ શક્યું પરંતુ તેની પાછળ પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISIનો હાથ હોવાની વાત સામે આવી રહી છે.કરીમા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાઈ માનતી હતી અને 2016માં રક્ષાબંધન નિમિત્તે તેણે વડાપ્રધાનને રાખડી પણ મોકલી હતી.CNN મુજબ,કરીમા બલોચ રવિવાર સાંજથી ગુમ થઈ હતી અને ત્યારથી પોલીસ તેની તલાશ કરી રહી હતી.તે બપોરે ત્રણ વાગ્યે છેલ્લી વાર જોવા મળી હતી.ત્યારબાદ એક અજાણ્યા વ્યક્તિની સાથે તે જતા જોવા મળી હતી.કરીમાના પરિવારે તેનું શબ મળ્યું હોવાની પુષ્ટિ કરી છે.કરીમા બલોચને પાકિસ્તાની સરકાર અને સેનાની વિરુદ્ધ મોટી ટીકાકાર માનવામાં આવતી હતી.
34 લોકો સામે કેસ કરીમાએ સંયુક્ત રાષ્ટ્રમાં પણ બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના અત્યાચારોની વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.સંદિગ્ધ સ્થિતિમાં થયેલા તેના મોતને લઈને પાકિસ્તાની સરકાર અને તેની ઇન્ટેલિજન્સ એજન્સી ISI ઉપર પણ સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.BBCએ પણ વર્ષ 2016માં કરીમા બલોચને દુનિય ની 100 સૌથી પ્રેરણાદાયક અને પ્રભાવશાળી મહિલાઓમાં એક તરીકે ગણવામાં આવી હતી.
PM મોદીને કરી હતી મદદની અપીલ
નોંધનીય છે કે,વર્ષ 2016માં કરીમા બલોચે પીએમ મોદીને ભાઈ ગણાવતા કહ્યું હતું કે, રક્ષાબંધનના દિવસે બલૂચિસ્તાનની એક બહેન ભાઈ માનીને આપને કંઈક કહેવા માંગે છે.બલૂચિસ્તાનમાં અનેક ભાઈ ગુમ છે.અનેક ભાઈ પાકિસ્તાની સેનાના હાથે માર્યા ગયા છે.બહેનો આજે પણ ગુમ ભાઈઓની રાહ જોઈ રહી છે. અમે આપને કહેવા માંગીએ છીએ કે આપને બલૂચિસ્તાનની બહેનો ભાઈ માને છે,આપ બલોચ નરસંહાર,યુદ્ધ અપરાધ અને માનવાધિકાર હનનની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય મંચો પર બલોચ અને બહેનોનો અવાજ બનો.
આ પહેલા સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને બલૂચિસ્તાન માટે સ્વતંત્રતાનું સમર્થન કર્યું હતું. સ્વતંત્રતા દિવસના ભાષણમાં પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાને આ ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો હતો.


