વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે.કેશુભાઇ પટેલનાં ગુરૂવારે નિધન બાદ તેમણે ગુજરાત પ્રવાસનાં કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો.પીએમ મોદી સવારે 9:45 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા.જ્યાં સીએમ વિજય રૂપાણી,રાજ્યપાલ,પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ,અમદાવાદનાં મેયર બિજલ પટેલે તેમનું કોવિડની ગાઇડલાઇન પ્રમાણે સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી પીએમ મોદી સીધા ગાંધીનગર કેશુભાઈ પટેલનાનિવાસસ્થાને પહોંચ્યા હતા.જ્યાં તેમણે કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.
ત્યાર બાદ તેઓ મહેશ-નરેશ કનોડિયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા.અહીં તેમણે બંન્ને બંધુઓને શ્રદ્ધાંજલિ આપીને કનોડિયા પરિવારને સાંત્વના આપી હતી.ત્યાર બાદ તેઓ ગાંધીનગર હેલિપેડથી કેવડિયા જવા રવાના થયા છે.
કેશુબાપાના દીકરીએ પીએમનો આભાર માન્યો
પીએમ મોદી એ આજે અહીં આવીને અમોને સાંત્વના આપી છે અમે એના માટે આભારી છીએ.બાપાને કોવિડ થયો હતો ત્યારથી પીએમ બાપાની ખબર પૂછતા રહ્યા હતા. આજે પણ બાપાની લાસ્ટ મોમેન્ટ કેવી રહી તે અંગે પૂછ્યું હતુ.પરિવારના સભ્ય તરીકે તેઓ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ સારુ ટ્રીબ્યુટ આપ્યું. અમને ઘણું સારુ લાગ્યું છે દિલસોજી પાઠવવા બદલ આભારી છીએ.
પીએમની શબ્દાજંલિ અમારા માટે ગર્વની વાત -હિતુ કનોડિયા
હિતુ કનોડિયાએ ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે,પીએમ મોદી આટલી વ્યસ્તતામાં પણ અહીં આવ્યા અને શ્રદ્ધાં સુમન અર્પણ કર્યા.પીએમ મોદીએ અમને બે વાક્ય કહ્યા, આ બંન્ને ભાઇઓનો અપાર પ્રેમ અને ભાઇઓ અમર થઇ ગયા છે.તેમણે જોયું કે,ફોટા નીચે તારીખ નથી લખી,તેમણે કહ્યું કે,સારૂ છે તારીખ નથી લખી આ બંન્ને ભાઇઓ અમર થઇ ગયા છે.તેમણે આ રીતે જે શબ્દાજંલિ આપી તે અમારા માટે ગર્વની વાત છે.


