PM મોદીએ પ્રયાગરાજમાં સ્વસહાય જૂથોના ખાતામાં એક હજાર કરોડ ટ્રાન્સફર કર્યા

HM News
2 Min Read

– PM દ્વારા રકમ ટ્રાન્સફર કરાતા 16 લાખ મહિલાઓને ફાયદો થશે
– મહિલાઓની લગ્નની વયમર્યાદા વધારીને 21 કરવામાં આવી તેની સામે પણ કેટલાકને વાંધો છેઃ મોદીના વિપક્ષ પર પ્રહાર
– પીએમની સુરક્ષામાં બેદરકારી દાખવનારા સાત પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા

પ્રયાગરાજ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સ્વસહાય જૂથોના ખાતામાં એક હજાર કરોડ ટ્રાન્સફર કર્યા હતા. આના લીધે 16 લાખ મહિલાઓને ફાયદો થશે.દીનદયાળ યોજના નેશનલ રૃરલ લાઇવલીહૂડ મિશન (ડે-એનઆરએલએમ) હેઠળ આ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.આ મિશનનું ધ્યેય તળિયાના સ્તરની મહિલાઓને જરૂરી કૌશલ્ય,પ્રોત્સાહનો અને સંસાધનો પૂરા પાડવાનું છે.

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બે લાખ મહિલાઓએ હાજરી આપી હતી.વડાપ્રધાને આ ઉપરાંત મુખ્યમંત્રી કન્યા સુમંગલા સ્કીમ માટે એક લાખથી વધારે લાભાન્વિતો માટે 20 કરોડ રૃપિયા જારી કર્યા હતા.તેના હેઠળ બાળકીને જીવનના વિવિધ તબક્કે સશર્ત રોકડ સહાય મળશે.આમ પ્રતિ લાભાન્વિત 15,000 રૂપિયા મળશે.વડાપ્રધાને આ ઉપરાંત 43 જિલ્લામાં 202 પૂરક પોષણ ઉત્પાદન એકમોનો શિલાન્યાસ કર્યો હતો.આ એકમોને સ્વસહાય જૂથો દ્વારા ફંડિંગ પૂરુ પાડવામાં આવશે.દરેક એકમ બનાવવાનો ખર્ચ એક કરોડ રૂપિયા થશે.વડાપ્રધાને આ પ્રસંગે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સરકાર મહિલાઓની લગ્નની વયમર્યાદા વધારીને 21 કરવા માંગે છે, જેથી તે અભ્યાસ કરી શકે. પણ તેના લીધે કેટલાક લોકોને બેચેની થઈ છે.તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 25થી 30 લાખ મકાનો મહિલાઓના નામે રજિસ્ટર થયા છે.આ બતાવે છે કે મોદી સરકાર મહિલા સંપ્રભુત્વ અંગે કેટલી પ્રતિબદ્ધ છે.તેમણે આ ઉપરાંત જણાવ્યું હતું કે એક સમયે ગુંડાઓના લીધે બાળકીઓ માટે સ્કૂલો અને પછી યુવતીઓ માટે કોલેજ જવું મુશ્કેલ હતું.યોગી આદિત્યનાથે આજે તે ગુંડારાજ ખતમ કરી દીધું છે.આ ઉપરાંત માતૃવંદન સ્કીમ હેઠળ બે કરોડ મહિલાઓને પોષણ માટે પાંચ હજાર રૃપિયા સીધા ખાતામાં જમા કરાવાયા છે.આ ઉપરાંત વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી દાખવનારા સાત કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *