– નીરવ ચોક્સી પાસેથી લાંચ લીધી હોવાનો આક્ષેપ
નવી દિલ્હી તા.20 : PNBને કરોડો રૂપિયાનો ચૂનો લગાડનાર હીરાના વેપારી નીરવ ચોક્સીએ PNBના ત્યારના ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટીને એક કરોડ રૂપિયાની લાંચ આપી હોવાના આક્ષેપ થયા હતા.આ કૌભાંડની તપાસ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યા મુજ નીરવ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ માટે બેંગ ગૅરંટીની વ્યવસ્થા કરવા માટે ઋષિકા ફાઇનાન્શિયલ પાસેથી શેટ્ટીએ એક કરોડ આઠ લાખ રૂપિયાની લાંચ લીધી હતી.
PNB કૌભાંડના મુખ્ય આરોપી ગોકુલનાથ શેટ્ટી સામે સીબીઆઇએ આ નવો આક્ષેપ મૂક્યો હતો.સીબીઆઇના અધિકારીઓએ જણાવ્યા મુજબ PNBને 13,000 કરોડનો
ચૂનો લગાડવાના મેહુલ ચોક્સી અને નીરવ ચોક્સીના કેસમાં શેટ્ટી આ રીતે સંડોવાયેલા હતા.ગીતાંજલિ જેમ્સ માટે બેંક ગૅરંટીની વ્યવસ્થા કરવા માટે શેટ્ટીએ ઋષિકા ફાઇનાન્શિયલ પાસેથી એક કરોડ આઠ લાખ રૂપિયા લાંચ રૂપે લીધા હતા.ઋષિકાના માલિક દેવજ્યોતિ દત્તા ફોરેન ફંડિંગ (વિદેશી) બેંકો પાસેથી લેટર્સ ઑફ અન્ડરસ્ટેન્ડીંગના ક્વોટ્સ મેળવી આપવાનું કામ કરતા રહ્યા હતા.દેવજ્યોતિ કનેથી કન્ફર્મેશન મેળવ્યા બાદ શેટ્ટી ઇન્ટરનેશનલ બેંકિંગ મેસેજિસ સર્વિસીસ (સ્વીફ્ટ ) દ્વારા લેટર ઑફ અન્ડરસ્ટેન્ડીંગ આપતા હતા.
સીબીઆઇએ બે અઠવાડિયાં પહેલાં શેટ્ટી સામે નવું તહોમતનામું રજૂ કર્યું હતું.સીબીઆઇના અધિકારીએાએ વધુમાં કહ્યું હતું કે આવક કરતાં વધુ બેહિસાબી સંપત્તિ ધરાવવા માટે શેટ્ટીની પત્ની સામે પણ ચાર્જશીટ ઘડવામાં આવી હતી.શેટ્ટીની પત્ની લતા ઇન્ડિયન બેંકમાં ક્લાર્ક તરીકે કામ કરતી હતી.આ બંને પાસે આવકના કાયદેસરના સાધનો કરતાં વધુ એટલે કે 2011થી 2017 વચ્ચે રૂપિયા ચાર કરોડ 28 લાખની સંપત્તિ જમા થઇ હતી.આટલી મોટી રકમ એ લોકો ક્યાંથી લાવ્યા એનો કોઇ ખુલાસો કરી શક્યાં નહોતાં.