21મી માર્ચ, 2022 સોમવાર નવી દિલ્હી : આરબીઆઈ દ્વારા નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવેલ રિટેલ ડાયરેક્ટ પ્લાનમાં સરકારી જામીનગીરીઓમાં રિટેલ રોકાણકારોનો રસ વધતો જ જોવા મળી રહ્યો છે અને આરબીઆઈ દ્વારા સરકાર પાસે માંગવામાં આવેલ છૂટ મંજૂર થશે તો રિટેલ ઈન્વેસ્ટર માટે ગવર્મેન્ટ સિક્યોરિટીસ પણ એક ઉત્તમ રોકાણ માધ્યમ બની શકે છે.
એક અહેવાલ અનુસાર 35,000થી વધુ વ્યક્તિગત રોકાણકારો આરબીઆઈના રિટેલ ડાયરેક્ટ પ્લેટફોર્મ પર સીધા સરકારી બોન્ડ ખરીદી રહ્યા છે.આ સિવાય સરકારી જામીનગીરીમાં ટ્રાન્ઝેકશન સુગમતા, સંપત્તિની સલામતી અને યિલ્ડના તફાવતોને કારણે આવી રિટેલ પાર્ટિસિપેશન ઝડપી બનશે.
રસપ્રદ વાત એ છે કે સોવરિન બોન્ડ્સ હવે પરંપરાગત બેંક થાપણો કરતાં વધુ વળતર આપી રહ્યાં છે અને સરળતાથી વેચી પણ શકાય છે.10-વર્ષના સરકારી બોન્ડ અર્ધ-વાર્ષિક 6.80%ની આસપાસ યિલ્ડ ઓફર કરી રહ્યાં છે છે,જેની સામે સમાન-મેચ્યોરિટીવાળી ફિક્સ ડિપોઝિટ માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 5.40-6.30% ઓફર કરાઈ રહ્યાં છે.
RBIનો ડબલ ડોઝ ?
આ બોન્ડ્સ સુધી રિટેલ રોકાણકારોની પહોંચ વધારવાની સાથે હવે તેના પર મળતું વ્યાજ રિટેલ ખરીદદારો માટે કરમુક્ત કરવાના કેન્દ્રીય બેંકના સૂચન પર સરકાર સહમત થાય તો વધુ રોકાણ રિટેલ રોકાણકારો તરફથી આ પ્લેટફોર્મ પર આવી શકે છે.
આ બાબતથી પરિચિત એક એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે જો સ્લેબ અને ટોચમર્યાદાના આધારે વ્યાજની ચૂકવણીને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવશે તો પ્રત્યક્ષ રોકાણ વધશે.
રિટેલ સહભાગિતાને વેગ આપવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ સૂચન કર્યું હોવાનું જાણવા મળ્યું છે કે રિટેલ ડાયરેક્ટ પ્લેટફોર્મ પર રોકાણકારોને મળતા વ્યાજને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે એટલેકે જેમ હાલ ટેક્સ-ફ્રી બોન્ડ પર રાહત મળે છે તેમ જ તેમને છૂટ મળે.
શું છે રિટેલ ડાયરેક્ટ પ્લેટફોર્મ ?
નવેમ્બર, 2021માં રિટેલ ડાયરેક્ટ પ્લેટફોર્મ આરબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતુ જેમાં સરકારી જામીનગીરીઓની લે-વેચ થાય છે.વ્યક્તિઓ ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરીને આરબીઆઈ સાથે રિટેલ ડાયરેક્ટ ગિલ્ટ એકાઉન્ટ ખોલી શકે છે.લઘુત્તમ રોકાણ ₹10,000 નક્કી કરવામાં આવ્યું છે.
ગત વર્ષે 12મી નવેમ્બરે પ્લેટફોર્મ લોન્ચ થયા બાદ અત્યાર સુધી કુલ 60,000થી વધુ રજિસ્ટ્રેશન થયા છે.સેકન્ડરી માર્કેટમાં આ એકાઉન્ટ્સ દ્વારા સરેરાશ 35 જેટલા સોદા થઈ રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં દેશની કુલ વસ્તીના ઓછામાં ઓછા 1% સુધી પહોંચવાનો ઉદ્દેશ્ય છે.અત્યાર સુધીમાં ખોલવામાં આવેલા 35,000 ખાતાઓમાં ટ્રેડિંગ વધી રહ્યું છે.આનો અર્થ એ થયો કે જો 1.4 કરોડ લોકો આ સેગમેન્ટ સાથે જોડાશે તો ₹14,000 કરોડનું રોકાણ આવી શકે છે.