અમદાવાદ : વી.એસ. હોસ્પિટલના પરિસરમાં બનેલી એસવીપી હોસ્પિટલનું સંચાલન કરતા મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ(મેટ)ની મંગળવારે મીટિંગ મળી હતી.જેમાં મ્યુનિ.વિપક્ષી નેતાએ SVP હોસ્પિટલની સેવા અંગે વિવિધ રજૂઆતો કરી હતી.હોસ્પિટલ બન્યા બાદ 18મા માળે એર એમ્બ્યુલન્સ માટે હેલિપેડ બનાવવામાં આવ્યું છે પરંતુ તેના માટે જરૂરી હેલિકોપ્ટર હજુ સુધી વસાવવામાં આવ્યું ન હોઈ આ સુવિધા તાકીદે શરૂ કરવા માગણી કરવામાં આવી હતી.ઉપરાંત,હોસ્પિટલમાં બાઉન્સરો દૂર કરી તેના સ્થાને સિક્યોરીટી ગાર્ડને મૂકવા પણ સૂચન કર્યું હતું.હાલમાં હોસ્પિટલના 80 ટકા બેડ ખાલી રહેતા હોઇ તેના કારણો જાણી લોકોપયોગી બને તે માટે કાર્યવાહી કરવા પણ વિપક્ષી નેતાએ ભલામણ કરી હતી.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત SVP હોસ્પિટલ 2019માં 873 બેડ અને 427 આઈસીયુ બેડ મળી કુલ 1500 બેડની સુવિધા સાથે મલ્ટી સ્પેશ્યાલિટી ફેકલ્ટી સાથે શરૂ કરવામાં આવી હતી.જેની પાછળ અંદાજે રૂ.750 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.આ હોસ્પિટલના 18મા માળે એર એમ્બ્યુલન્સ માટે હેલિપેડ બનાવવામાં આવેલું છે,પરંતુ હજુ સુધી હોસ્પિટલ પાસે એર એમ્બ્યુલન્સ માટે જેની પ્રાથમિક જરૂરીયાત છે તે હેલિકોપ્ટર જ નથી.
મંગળવારે મળેલી મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ(મેટ)ની મીટિંગમાં વિપક્ષી નેતા શહેજાદ પઠાણ દ્વારા વિવિધ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.જેમાં હેલિકોપ્ટરનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં સમગ્ર દેશ તથા શહેરમાં અફડાતફડી મચી ગઈ હતી તેવા કટોકટીના સમયમાં પણ તે હેલિપેડનો ઉપયોગ થઈ શક્યો ન હોવાનું જણાવી વિપક્ષી નેતાએ આ સુવિધા તાકીદે શરૂ કરવા માટે માંગણી કરી હતી.
તેમણે મીટિંગમાં જણાવ્યું હતું કે,18 માળની મલ્ટી સ્ટોરીડ હોસ્પિટલમાં 1500 બેડની સુવિધા છે અને સુપર સ્પેશિયાલિટી ડોક્ટર છે.વિવિધ પ્રકારની અત્યાધુનિક મેડિકલ ટ્રીટમેન્ટ તથા અદ્યતન સાધનો હોવા છતાં હોસ્પિટલમાં દૈનિક સરેરાશ 200 ઈન્ડોર પેશન્ટ જ છે,જેને કારણે બાકીના બેડ ખાલી પડ્યા રહે છે.હોસ્પિટલમાં સરેરાશ 80 ટકા બેડ ખાલી પડ્યા રહે છે.જેથી બેડ ખાલી કેમ પડ્યા રહે છે તેના કારણો જાણી હોસ્પિટલ લોકોપયોગી કેમ બને તે માટે કાર્યવાહી કરવા માટે પણ માંગણી કરવામાં આવી હતી.
SVP હોસ્પિટલ સેવા સાથે સંકળાયેલી છે તેમાં દરેક માળે બાઉન્સરો રાખવામાં આવે છે તે યોગ્ય નથી.દર્દીઓના સગા માનસિક રીતે ડિસ્ટર્બ હોય ત્યારે બાઉન્સરો દર્દીના સગા સાથે અસભ્ય વર્તન કરે છે. આઈસીયુ કે વોર્ડમાં દર્દીના સગાને ડોક્ટરને મળવા માટે જવા દેવામાં આવતા નથી.જેથી હોસ્પિટલમાંથી બાઉન્સરો તાકીદે દૂર કરી તેની જગ્યાએ સારી સિક્યોરીટી સેવા આપતી સંસ્થાને રાખવા માટે પણ વિપક્ષી નેતાએ મીટિંગમાં માગણી કરી હતી.