– તુર્કી સાથે દેશના 9500 કરોડના વેપારમાં સુરત સહિત ગુજરાતમાંથી 12 થી 15 ટકાનું કામકાજ
નવી દિલ્હી : તુર્કી સાથે ગોલ્ડ જ્વેલરીની નિકાસ સાથે સંકળાયેલાઓની,ત્યાંની સરકાર દ્વારા આયાત ઉપર 10 ટકા ડયૂટી લાગુ કરવાના નિર્ણયથી ચિંતા વધી ગઈ છે.તુર્કી સાથે દેશના 9500 કરોડના વેપારમાં સુરત શહેર સહિત ગુજરાતમાંથી 12 થી 15 ટકાનું કામકાજ છે,જે આને કારણે પ્રભાવિત થઈ શકે છે.દેશમાંથી તૂર્કી ગોલ્ડ જ્વેલરી સહિત અન્ય જ્વેલરીનું મોટું કામ કાજ થાય છે.ગોલ્ડ જ્વેલરીમાં જ ગત વર્ષે 21 ટનનો વેપાર થયો હતો,એમ ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશનના ગુજરાત સ્ટેટ ડિરેક્ટર નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું.
કોરોના મહામારીને લઈને તુર્કી ગવર્મેન્ટ સરકારી તિજોરીમાં આવક વધે તે માટે ગોલ્ડ જ્વેલરીની ઈમ્પોર્ટ ઉપર 10 ટકા ડયૂટી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.તુર્કીએ આજે બિન-યુરોપિયન યુનિયન દેશોમાંથી અને દ્વિપક્ષીય વેપાર કરાર વિનાના દેશોના સોનાના ઝવેરાત માટે વધારાની આયાત ડયૂટી લાદી છે. આ નિર્ણયને કારણે તા 30મી સપ્ટેમ્બર સુધી હાલના 2.5 ટકા આયાત ડયુટી ઉપર 10 ટકા વધારાની લાદવામાં આવશે અને ત્યારબાદ વધારીને 17.5 ટકા કરવામાં આવશે.આ માત્ર ગોલ્ડ જ્વેલરી ઉપર ડયૂટીની વાત નથી.જ્વેલરી ઉપરાંત અન્ય બીજી સંખ્યાબંધ પ્રોડક્ટ ઉપર 30 ટકા વધારાની આયાત ડયૂટી લાદવામાં આવી હતી.સોનાના જવેલરીની આયાત ડયુટી પર વધારાને કારણે આની તાત્કાલિક અસર ભારતને ચિંતા કરાવશે.તુર્કીએ વર્ષ 2019 દરમિયાન ભારતમાંથી 21 ટન સોનાના ઝવેરાતની આયાત કરી હતી.


