નવી દિલ્હી, તા. 05 માર્ચ, 2022, શનિવાર : યુક્રેન યુદ્ધનો આજે 10મો દિવસ છે.અત્યાર સુધીમાં 17,000 કરતાં પણ વધારે ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢી લેવાયા છે.જોકે હજુ પણ અનેક ભારતીયો ત્યાં ફસાયેલા છે.યુદ્ધના કારણે માત્ર યુક્રેનમાં જ નહીં પણ દરિયામાં પણ અનેક ભારતીયો ફસાયેલા છે.એક અહેવાલ પ્રમાણે ઓછામાં ઓછા 21 ભારતીય નાવિકો વર્તમાનમાં દક્ષિણી યુક્રેન માઈકોલાઈવ (Mykolaiv) બંદરગાહેથી નીકળવાની રાહ જોઈ રહ્યા છે.આ બંદરગાહ કાળા સમુદ્ર (બ્લેક સી)માં છે પરંતુ યુદ્ધ બાદ તે વિસ્તારમાં નાકાબંધીના કારણે 25મી ફેબ્રુઆરીથી જ ભારતીય નાવિકો આ માલવાહક જહાજમાં ફસાયેલા છે.
ભારતીય માલવાહક જહાજ જ્યાં ફસાયેલા છે ત્યાં ઓછામાં ઓછા અન્ય 25 જહાજ પણ છે.બ્લેક સીમાં માઈકોલાઈવ બંદરગાહ પ્રમુખ ટ્રાન્ઝિટ પોઈન્ટ છે જ્યાં રશિયન સેના હાલ મજબૂત સ્થિતિમાં છે.આ કારણે જ અનેક જહાજોએ હાલ માઈકોલાઈવ ખાતે પોતાની રાષ્ટ્રીયતા સંતાડીને પોતાના સઢ પાડી દીધા છે અને માર્શલ આઈલેન્ડ (Marshalls Island)નો ધ્વજ ફરકાવી રહ્યા છે.
માલ વેચાય તે પહેલા નાકાબંધી
જહાજમાં ફસાયેલા 21 ભારતીય ચાલકદળના સદસ્યોમાંથી 4 મહારાષ્ટ્રના છે.તે પૈકીના એકે જણાવ્યું કે,તેમણે જહાજના માલિકો અને સ્થાનિક એજન્ટ્સના નિર્દેશો મુજબ જહાજ પર રહેવાનો નિર્ણય લીધો છે. તે લોકો તેમને રાશન વગેરે પૂરૂં પાડી રહ્યા છે.શિપિંગ એન્ડ મૈનિંગ એજન્સીના ડીજી અને વી.આર.મેરીટાઈમ નાવિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારતીય રાજદ્વારીઓ અને વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે.
જહાજમાં તેમને ભોજનની કોઈ કમી નથી પરંતુ શુદ્ધ પાણીની કમી હતી જે ઉકેલી દેવાઈ છે.તેમને બોમ્બમારાના સ્પષ્ટ અવાજો સંભળાઈ રહ્યા છે જે ખૂબ ડરામણું છે.જોકે તેમના પાસે ત્યાં રહ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી અને હાલ જમીન પર પગ મુકવો સુરક્ષિત નથી.