હાશિમ વ્યવસાયે વકીલ છે અને ખૂબ ગભરાયેલા છે.તેમણે નવેમ્બરમાં ઉત્તરપ્રદેશના એટાની રહેવાસી એક હિન્દુ યુવતીનું ધર્મપરિવર્તન કરાવીને એક મુસલમાન યુવક સાથે લગ્ન કરાવ્યા હતા.હવે હાશિમના પરિવારના આઠ સભ્ય જેલમાં છે.જે યુવકે હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા તેનાં પાંચ પરિવારજનો જેલમાં છે. યુવતી હાલ પોલીસ સુરક્ષામાં છે,પણ અત્યારસુધી કોર્ટમાં તેનું કોઈ નિવેદન થઈ શક્યું નથી.
હાશિમે જણાવ્યું હતું કે મેં 28 નવેમ્બરે દિલ્હીમાં લગ્ન રજિસ્ટર કરાવીને એટાના એસએસપી અને જલેસર પોલીસ સ્ટેશના SHOને આ અંગે નોટિસ અને યુવતી તરફથી એક અરજી મોકલી હતી.પોલીસે મને કોઈ વાત ન કરી.એક-એક કરીને મારાં સગાં-વહાલાંને ઉઠાવવાનું શરૂ કર્યું.છોકરાનાં પરિવારજનોને પણ ઉઠાવી લીધાં.
UP પોલીસે આ કાર્યવાહી લવ-જેહાદને અટકાવવા માટે લાવવામાં આવેલા નવા અધ્યાદેશ હેઠળ કરી છે.ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે 28 નવેમ્બરે ગેરકાયદે ધર્મપરિવર્તન અટકાવવા અધ્યાદેશ( Prohibition of Unlawful Religious Conversion Ordinance, 2020 -PURC)ને મંજૂરી આપી હતી.આ અધ્યાદેશમાં લવ-જેહાદ અથવા કોઈ ખાસ ધર્મનો ઉલ્લેખ નથી,પણ યુપીમાં તેને લવ- જેહાદ વિરુદ્ધ કાયદો કહેવામાં આવી રહ્યો છે.
આ નવા કાયદાના લાગુ થયા પહેલાં એક મહિનામાં યુપીમાં કુલ 14 કેસ નોંધાયા, જે હેઠળ 51 લોકોને જેલમાં મોકલવામાં આવ્યા.આ સંજોગ જ છે કે જેલમાં મોકલવામાં આવેલા લોકો મુસલમાન છે.જે કેસ થયા છે એમાંથી 13માં હિન્દુ યુવતીઓને ભોળવીને અથવા તો દબાણ કરીને તેમનું ધર્મપરિવર્તન કરાવવાનો તેમની પર આરોપ લગાવાયા છે.બે કેસ પીડિત મહિલાઓ તરફથી,જ્યારે 13 સગાં-વહાલાં તરફથી કરવામાં આવ્યા છે.
બિજનૌર જિલ્લામાં આવા ત્રણ કેસ નોંધાયા છે.આવા જ એક કેસમાં 18 વર્ષના શાકિબને જેલભેગો કરાયો છે.તેમની પર એક કિશોર દલિત યુવતીનો ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ છે.બિજનૌરના એસપી સંજય કુમારે શાકિબની ધરપકડ પછી કહ્યું હતું કે છોકરીને પોતાનું નામ સોનુ કહીને પ્રેમજાળમાં ફસાવી લીધી.તેની પર ધર્મપરિવર્તન કરવાનું દબાણ કરાયું.અપહરણ કરીને લઈ જવાઈ,કિશોરી જેમ તેમ કરીને તેની જાળમાંથી છટકી ગઈ છે.આ કેસમાં કિશોરીના પિતા અને પરિવારના લોકોના દાવાને ખોટો ગણાવતાં પોલીસે કહ્યું હતું કે કિશોરી પર કોઈપણ પ્રકારનું દબાણ ન હતું અને તે કોઈ કાર્યવાહી કરવા માગતી નથી.
શાકિબના પિતરાઈ ભાઈ નફીસ ખાન હવે તેમના જામીન કરાવવા માટે ચક્કર લગાવી રહ્યા છે.તેમણે જણાવ્યું હતું કે તે એ દિવસ એક પાર્ટીમાં ગયો હતો.પાસેના ગામની યુવતી પણ સાથે હતી. પબ્લિકે બન્નેને પકડીને પોલીસ હવાલે કરી દીધા.પોલીસે લવ-જેહાદનો ખોટો કેસ કરીને જેલમાં નાખી દીધો. 5 ડિસેમ્બરે લવ-જેહાદ કાયદા હેઠળ ધરપકડ થનારી પહેલી વ્યક્તિ રાશિદ ખાન 19 ડિસેમ્બર છૂટી ગયા હતા.પોલીસને તેમની વિરુદ્ધ બળજબરી ધર્માંતરણ કરાવવાનો કોઈ પુરાવો નથી મળ્યો, પણ તેમની પત્ની પિંકીએ(જે હવે નામ અને ધર્મ બદલીને મુસ્કાન બની ગઈ છે)તેના પેટમાં રહેલા બાળકને ગુમાવી દીધું.પિકી હવે એ ઘટનામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે. બળજબરી ધર્મપરિવર્તનનો કેસ થયા પછી પિંકીને તેની સાસરીમાંથી અલગ કરીને નારી સુરક્ષા ગૃહમાં મોકલી દેવાઈ હતી.પછી કોર્ટના આદેશ પર તેમને પતિ રાશિદના ઘરે મોકલી દેવાઈ હતી.ડૂમો ભરાયેલા અવાજમાં પિંકીએ કહ્યું,મારા બાળકને મારી નાખ્યું.
સાથે જ એક મુસલમાન યુવક સાથે ઘર છોડીને ગયેલી સીતાપુરની એક હિન્દુ યુવતીના પિતાએ કહ્યું, જેના પણ નામ લખીને આપ્યાં હતાં પોલીસે બધાને પકડી લીધા,પણ અમારી દીકરી હજી સુધી મળી નથી.અમારે અમારી દીકરી પાછી જોઈએ.તે તેનું ધર્મપરિવર્તન કરાવી દેશે જે અમને કોઈપણ ભોગે મંજૂર નથી.
UPમાં પ્રેમ લગ્નના કેસનો એક બીજું પણ પાસું છે.નવો કાયદો લાગુ થયા પછીથી બરેલી, મેરઠ અને કાનપુરમાં મુસલમાન યુવતીના હિન્દુ યુવકો સાથે લગ્નના કેસ સામે આવ્યા છે, પરંતુ આમાંથી કોઈપણ કેસમાં પોલીસે ધરપકડ નથી કરી,પણ મેરઠ અને બરેલીમાં પ્રેમી યુગલને સુરક્ષા પણ આપી છે.
એવામાં સવાલ ઊઠે છે કે UP પોલીસ કાર્યવાહીમાં ભેદભાવ કરી રહી છે અને માત્ર મુસલમાનોને ટાર્ગેટ કરી રહી છે.આ સવાલ અંગે યુપીના કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથે સિંહે જણાવ્યું હતું કે જ્યાં કાયદા હેઠળ કોઈ ફરિયાદ કરવામાં આવે છે તો પોલીસ તપાસ કરે છે અને કાર્યવાહી કરે છે.જ્યાં કોઈ મેટર બને છે તો કાર્યવાહી કરવામાં આવે છે,જ્યાં કંઈ નથી થતું ત્યાં છોડવામાં પણ આવે છે.
પણ માત્ર મુસલમાનની જ ધરપકડ કેમ થઈ રહી છે, આ સવાલ અંગે સિદ્ધાર્થ નાથ સિંહ કહે છે, આ પ્રોપગેન્ડા વિપક્ષના લોકો ચલાવી રહ્યા છે, સરકાર ધર્મના આધારે કામ નથી કરતી, આપણું બંધારણ પણ એની મંજૂરી નથી આપતું. આપણી નીતિ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસની છે. એવા પણ કેસ સામે આવ્યા છે જેમાં કંઈ થઈ શક્યું નથી અને લોકોને છોડી પણ દેવાયા છે.
સાથે જ રિટાયર્ડ IPS અધિકારી વિભૂતિ નારાયણ રાય કહે છે,પોલીસ પર આ આરોપ એકદમ સાચા લાગી રહ્યા છે. એક દિવસમાં બે કેસ આવ્યા હતા,એક જગ્યાએ હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા,જ્યારે બીજી બાજુ,મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા હતા.બન્ને કેસમાં પોલીસનું વલણ એકદમ અલગ હતું.
આ જ કારણ જણાવતાં રાયે કહ્યું હતું કે સરકાર જો નિષ્પક્ષ હોય અને કાયદો તથા શાસન લાગુ કરાવવા માગે તો લવ-જેહાદ જેવા કાયદાની જરૂર નથી.આનાથી સમાજ પર ખરાબ અસર થશે.એક તરફ અમે પાછળ જઈ રહ્યા છીએ.
રાયે વધુમાં જણાવ્યું હતું કે પહેલાં યુપીમાં સરકાર આંતર-ધાર્મિક વિવાહ અને આંતરજાતીય વિવાહોને પ્રોત્સાહન આપી રહી હતી. આંતર ધાર્મિક વિવાહ થશે તો કટ્ટરતા સમાપ્ત થશે, આંતરજાતીય લગ્ન થશે તો જાતિવાદ સમાપ્ત થશે, પણ સરકાર હવે એને પ્રોત્સાહન આપવાની જગ્યાએ અટકાવી રહી છે.પોલીસ સરકારના ઈશારા પર ચાલી રહી છે એટલા માટે પક્ષપાત જોવા મળી રહ્યો છે.
આ નવા અધ્યાદેશે એવા લોકોના મનમાં બીક પેદા કરી છે જે ધર્મના પ્રતિબંધોને પાર કરીને પ્રેમ કરવાની હિંમત કરતા હતા.આવા જ એક યુવકે ફોન પણ જણાવ્યું હતું કે હવે અમારે યુપીથી બહાર પણ જવું પડી શકે છે,સાથે જ હાશિમ કોર્ટમાં યુવતીના નિવેદન નોંધાવાની રાહ જોઈ રહ્યો છે.તે નથી જાણતો કે યુવતી શું નિવેદન આપશે.જો નિવેદન તેની વિરુદ્ધ હશે તો પરિવારજનોને જેલમાં લાંબો સમય પસાર કરવો પડશે. હાશિમે જણાવ્યું હતું કે મેં એક વકીલ તરીકે મારા ક્લાયન્ટ માટે વ્યાવસાયિક રીતે કામ કર્યું છે. મને નહોતી ખબર કે આવડી મોટી મુસીબતમાં ફસાઈ જઈશ.મારું આખું ઘર ખાલી છે,લોક લાગેલું છે.હું બીકમાં જીવી રહ્યો છું.

