નવી દિલ્હી, તા. 19 માર્ચ 2022, શનિવાર : ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં મોટી રાજકીય ઉથલપાથલ થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં સમાજવાદી પાર્ટી (Samajwadi Party)સાથે ચૂંટણી લડનાર અને 6 સીટો પર જીત મેળવનાર ઓમપ્રકાશ રાજભર(OP Rajbhar)ની પાર્ટી સુલેહદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)હવે એનડીએ(NDA)માં સામેલ થઈ શકે છે.એવી ચર્ચા ચાલી રહી છે કે,રાજભરને યોગી આદિત્યનાથની સરકારમાં સ્થાન મળી શકે છે.નોંધનીય છે કે,રાજભર અગાઉ પણ યોગી કેબિનેટમાં મંત્રી રહી ચૂક્યા છે અને બીજેપી સાથે નારાજગી બાદ તેમણે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી (એસપી) સાથે ગઠબંધન કરીને વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.
વાસ્તવમાં રાજ્યમાં ચૂંટણીના પરિણામો બાદથી જ ઓપી રાજભરનું વલણ નરમ પડી ગયું છે.તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ બીજેપી સરકારને રાજ્યની સત્તામાંથી બહાર કરવાનો દાવો કરી રહ્યા હતા. બીજી તરફ રાજ્યમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યા બાદ પણ સુભાસપાને વધારે ફાયદો નહોતો થયો અને તેઓ 6 સીટો પર જ જીત મેળવી શકી હતી તેથી ચૂંટણી બાદ સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજભરે પોતાના વલણમાં નમ્રતા દાખવવાનું શરૂ કરી દીધું હતું.બીજી તરફ મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓમપ્રકાશ રાજભર ફરીથી એનડીએનો ભાગ બનવા માટે તૈયાર છે.મળતી માહિતી પ્રમાણે ઓમપ્રકાશ રાજભરની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે-સાથે ધર્મેન્દ્ર પ્રધાન અને સુનિલ બંસલ સાથે પણ મુલાકાત થઈ ચૂકી છે.
યોગી કેબિનેટમાં મળી શકે છે સ્થાન
એવી ચર્ચા ચાલી રહી છે કે,સુભાસપાને થોડા દિવસોમાં રાજ્યની નવી સરકારમાં સ્થાન મળી શકે છે.તેમને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓમપ્રકાશ રાજભરની 18 માર્ચે સાંજે અમિત શાહ ધર્મેન્દ્ર પ્રધાન અને સુનિલ બંસલ સાથે બેઠક થઈ ચૂકી છે અને આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી.જોકે,હજુ સુધી કોઈએ આ બેઠકની સત્તાવાર પુષ્ટિ નથી કરી તેમજ આ અંગે કોઈ નિવેદન પણ આપવામાં નથી આવ્યું.