અમેઠી, તા. 16 માર્ચ 2022, બુધવાર : ઉત્તર પ્રદેશના અમેઠી ખાતે ગ્રામ સમાજની જમીનને લઈને થયેલો વિવાદ લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગયો હતો અને ત્યારબાદ એક પરિવારે લાકડીઓ અને તિક્ષ્ણ હથિયારથી બીજા પરિવાર પર હુમલો કર્યો હતો.જેમાં 4 લોકોના મોત થઈ ગયા હતા અને 6 લોકોના ઘાયલ થવાના સમાચાર મળી રહ્યા છે.
આ મામલો અમેઠીના ગુંગવાચના રાજાપુર કૌહારનો છે.જણાવવામાં આવી રહ્યું છે કે,ત્યાં રહેનાર સંકટા પ્રસાદના ઘરની પાસે ગ્રામ સભાની જમીન પડી છે જેના પર ગામના જ રામદુલારે,બ્રિજેશ અને અખિલેશ બળજબરી પૂર્વક કબ્જો કરી રહ્યા હતા.જ્યારે સંકટ પ્રસાદે ના પાડી ત્યારે કબજે કરનારાઓએ સંકટા પ્રસાદ અને તેના પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે હુમલાખોરોએ સંકટા પ્રસાદ,હનુમાન યાદવ,ધન્નો દેવી,નયકા દેવી,રાજકુમાર યાદવ અને અશોક કુમારને લાકડી અને ડંડા વડે માર માર્યો હતો અને તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ બધાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સંકટા યાદવ,હનુમાન યાદવ,અમરેશ યાદવ અને પાર્વતી યાદવનું સારવાર દરમિયાન મોત થઈ ગયુ હતું.
સૂચના મળતાં જ મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો.પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા જ્યારે ઘાયલોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

