– મુકુલ ગોયલને હવે સિવિલ ડિફેન્સના ડીજી બનાવવામાં આવ્યા છે
લખનૌ, તા. 12 મે 2022, ગુરૂવાર : ગયા વર્ષે જૂનમાં ઉત્તર પ્રદેશ પોલીસની કમાન સંભાળનારા ડીજીપી મુકુલ ગોયલને માત્ર 11 મહિનામાં જ હટાવી દેવામાં આવ્યા છે.મુકુલ ગોયલને હવે સિવિલ ડિફેન્સના ડીજી બનાવવામાં આવ્યા છે.યુપી સરકારે મુકુલ ગોયલને ડીજીપીના પદ પરથી હટાવવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે કે, પોલીસ મહાનિર્દેશક મુકુલ ગોયલ સરકારી કામની અવગણના કરીને ખાતાકીય કામમાં રસ લેતા નથી.સરકારે સ્પષ્ટપણે કહ્યું કે મુકુલ ગોયલ ડીજીપી રહીને પોલીસિંગ પર ધ્યાન નથી આપી રહ્યા. સરકારી કામની અવગણના કરી રહ્યા હતા.
આ વિવાદોને કારણે ચર્ચામાં રહ્યા હતા
ગયા વર્ષે મુકુલ ગોયલે જ્યારે કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ વિવાદ શરૂ થઈ ગયો હતો.પશ્ચિમ ઉત્તર પ્રદેશના અખબારોમાં એક જ્વેલરી શોરૂમના માલિકે મોટી-મોટી જાહેરાતો આપીને મુકુલ ગોયલને DGP બનવા પર અભિનંદન આપ્યા હતા.મેરઠ, મુઝફ્ફરનગર,બરેલીમાં તૈનાત મુકુલ ગોયલના શુભ ચિંતકોની આ જાહેરાતે વિવાદની શરૂઆત કરી હતી. DGP તરીકે મુકુલ ગોયલનો બીજો વિવાદ લખનૌના પોલીસ કમિશનર ડીકે ઠાકુર સાથે થયો હતો. 5 સપ્ટેમ્બર, 2021 ના રોજ ડીજીપી તરીકે મુકુલ ગોયલ સમગ્ર લશ્કર સાથે હઝરતગંજ પોલીસ સ્ટેશન પહોંચી પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ દરમિયાન તેમણે ઈન્સ્પેક્ટર હઝરતગંજ શ્યામ બાબુ શુક્લાને હટાવવાનો આદેશ આપ્યો હતો.અચાનક મીડિયાની સામે ડીજીપીના આ આદેશથી પોલીસ કમિશનર ડીકે ઠાકુર પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે, ઈન્સ્પેક્ટર હઝરતગંજ શ્યામ બાબુ શુક્લા ઘણા દિવસોથી ડેન્ગ્યુથી પીડિત હતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા મુકુલ ગોયલને કહેવામાં આવ્યું હતું કે, ઈન્સ્પેક્ટર બીમાર હતા.ત્યારબાદ આ મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો.આ પછી મુખ્યમંત્રીએ નિર્દેશ આપવો પડ્યો કે મુખ્યમંત્રી કાર્યાલય અથવા કોઈપણ વરિષ્ઠ અધિકારીએ કોઈપણ સેવકોને હટાવવા અથવા પોસ્ટિંગનો આદેશ નથી આપવાનો.
લખીમપુરમાં સ્થિતિ બગડી પરંતુ મુકુલ ગોયલ ત્યાં નહોતા પહોંચ્યા
3 ઓક્ટોબર 2021ના રોજ લખીમપુરના ટિકુનિયામાં હિંસા બાદ કાયદો અને વ્યવસ્થા બગડવા લાગી.પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે, એડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે પોતે આગેવાની લેવી પડી. 2 દિવસ સુધી પ્રશાંત કુમારે લખમીપુરમાં કેમ્પ કર્યો હતો.રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રદર્શન શરૂ થઈ ગયું હતું પરંતુ મુકુલ ગોયલ લખમીપુર પણ નહોતા ગયા અને અન્ય જીલ્લાઓમાં પણ પેટ્રોલિંગ કરતા નજર નહોતા આવ્યા.
બુલડોઝર અભિયાનમાં પણ સક્રિયતા ન બતાવી
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી બાદ સરકારે બુલડોઝર અભિયાન તેજ કર્યું છે.માફિયાઓ સામે કાર્યવાહીને પણ ગતિ આપી છે પરંતુ આ અભિયાનમાં પણ મુકુલ ગોયલ સક્રિય નહોતા રહ્યા.
સવારે મીટિંગમાં હાજરી આપી, સાંજે આદેશ જારી
સોમવારે અને મંગળવારે મુકુલ ગોયલ રજા લઈને દિલ્હી પણ ગયા હતા. બુધવારે સવારે મુખ્યમંત્રીની બેઠકમાં DGP તરીકે મુકુલ ગોયલ સામેલ પણ થયા હતા.પરંતુ અચાનક મોડી સાંજે મુકુલ ગોયલને હટાવવાનો આદેશ આપ્યો હતો.