નવી દિલ્હી : તા.14 જૂન 2022,મંગળવાર : ભારતના માછીમારી સમુદાયના કેટલાક સભ્યોએ રવિવારે વિશ્વ વેપાર સંગઠન(WTO)ના મત્સ્યઉદ્યોગ સબસિડી પર પ્રતિબંધ લગાવવાની દરખાસ્તનો વિરોધ કર્યો હતો કારણ કે,તે વિકાસશીલ દેશોની માંગને અનુરૂપ નથી.પશ્ચિમ બંગાળના બિમન જૈને કહ્યું કે,જો માછીમારોની સબસિડી બંધ થઈ જશે તો તેમનું જીવન અને આજીવિકા બંધ થઈ જશે.તે માછીમારો વિરુદ્ધ ન હોવી જોઈએ જો સબસિડી શિસ્તની જરૂર હોય તો તે ઔદ્યોગિક માછીમારો માટે હોવી જોઈએ.આ અમારી મુખ્ય માંગ છે.12મી જૂને શરૂ થયેલી 12મી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની મંત્રી સ્તરીય બેઠક દરમિયાન ભારતભરમાંથી માછીમારો વિરોધ કરવા જિનેવામાં સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયની બહાર એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો.આ સાથે જ તેમણે જણાવ્યું કે,કેવી રીતે યુરોપ અને ચીનના વિશાળ માછીમારીના દિગ્ગજો દરિયાઈ સંસાધનોના ઘટાડા માટે જવાબદાર છે.
ભારતીય માછીમારો વસ્તીના હિતની રક્ષા માટે અલગ-અલગ રાજ્યોના 34 માછીમારોનું એક જૂથ જેમાં ગુજરાત,મહારાષ્ટ્ર,ગોવા,કર્ણાટક,કેરળ,તમિલનાડુ,આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સામેલ છે.તેઓ આ વિરોધ પ્રદર્શનનું પ્રતિનિધિત્વ કરતા જિનેવા પહોંચ્યા હતા.પ્રદર્શનમાં સામેલ મહારાષ્ટ્રના એક માછીમારે કહ્યું કે,હું નવમી પેઢીનો માછીમાર છું અને મારો પરિવાર સદીઓથી માછીમારી સાથે સંકળાયેલો છે.ચીન અને યુરોપ જેવા વિકસિત દેશોની માછીમારીની બોટ હજારો ટન માછલીઓ પકડે છે તેને બોટમાં જમા કરે છે અને તેઓ તેને લઈ જાય છે.ભારતીય માછીમારોને પોતાના અસ્તિત્વ માટે આ સબસિડીની આવશ્યકતા છે.
CMFRI સેન્સસ 2016 મુજબ દરિયાઈ માછીમારોની કુલ વસ્તી 3.77 મિલિયન છે જેમાં 0.90 મિલિયન પરિવારોનો સમાવેશ થાય છે.તેઓ 3,202 માછલી પકડતા ગામોમાં રહે છે.લગભગ 67.3 ટકા માછીમાર પરિવારો BPL કેટેગરીમાં હતા.સરેરાશ કુટુંબનું કદ 4.63 હતું અને કુલ લિંગ ગુણોત્તર પ્રતિ 1000 પુરુષોએ 928 સ્ત્રીઓ હતી.ભારત IUU માછીમારી પર અંકુશ લગાવીને અને હાનિકારક સબસિડીને તપાસીને ટકાઉ માછીમારીને સમર્થન આપવાના પક્ષમાં છે.

