સરકાર એક કરોડ રૂપિયા ઉપરાંત પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી પણ આપશે
એજન્સી, નવી દિલ્હી
દિલ્હીમાં થયેલા રમખાણો દરમિયાન ઈન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારી અંકિત શર્માનું મોત થયું હતું. હવે તેમના પરિવારને દિલ્હી સરકાર એક કરોડ રૂપિયાની સમ્માન રકમ આપશે. સોમવારના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અંકિત શર્માના પરિવારને એક કરોડ રૂપિયાની સમ્માન રકમ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત કેજરવાલે એમ પણ કહ્યું કે સરકાર શર્માના પરિવારના કોઈ પણ એક વ્યક્તિને સરકારી નોકરી પણ આપશે.
અંકિત શર્માના પરિવારને સમ્માન રકમ અને નોકરી આપવાની જાહેરાત કરતા કેજરીવાલે ટ્વીટર પર લખ્યું કે, ‘અંકિત શર્મા ઈન્ટેલિજન્સ બ્યૂરોના બહાદુર અધિકારી હતા. દિલ્હીના રમખાણોમાં ઘાચકી રીતે તેમની હત્યા કરી દેવામાં આવી છે. દેશને તેમના પર ગર્વ છે. દિલ્હી સરકારે નક્કી કર્યું છે કે તેમના પરિવારને એક કરોડ રૂપિયાની સમ્માન રકમ અને તેમના પરિવારના કોઈ એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.’
નોંધનીય છે કે, ચંદબાગના રહેવાસી અંકિત શર્મા 26 ફેબ્રુઆરીના રોજ પોતાની નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે તે વિસ્તારમાં ભીષણ રમખાણો ચાલી રહ્યા હતા. ત્યારે ચંદબાગ પુલિયા પર કેટલાક લોકો તેમને ઘેરી વળ્યાહતા. તેમના પર પથ્થરમારો કરીને અને તેમને ઢોર માર માર માર્યો હતો. ત્યારબાદ તેમના પર ગોળી ચલાવીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા બાદ તેમના મૃતદેહને નાળામાં ફેંકી દીધો હતો.