અમદાવાદ : તા.21 મે 2022, શનિવાર : યુવાનોમાં ટેટુ માટે ખૂબ જ ક્રેઝ હોય છે પરંતુ ઘણી વખત આગળ જતાં તે મુશ્કેલીનું કારણ પણ બનતા હોય છે.ખાસ કરીને નોકરી મેળવવા માટે આ પ્રકારના ટેટુ સૌથી મોટી અડચણરૂપ બનતા હોય છે.છેલ્લા 11 વર્ષમાં 11,000થી પણ વધારે યુવાનોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ટેટુ દૂર કરાવ્યા છે જેનાથી સ્પષ્ટ થાય છે કે,મોજશોખ માટે કરાવવામાં આવેલા ટેટુ તમારા કરિયરમાં બાધારૂપ બની શકે છે.
માત્ર એક જ દિવસમાં બની જતા આ ટેટુને દૂર કરવા માટે યુવાનોએ અનેક વખત હોસ્પિટલના ધક્કા ખાવા પડ્યા છે.હકીકતે સૈન્ય,અર્ધસૈન્ય દળ અને પોલીસ વગેરે ભરતીમાં સામેલ થવા ઈચ્છુક ઉમેદવારોના શરીર પર ટેટુ ન હોવા જોઈએ.આ કારણે અમદાવાદ સિવિલના ત્વચા વિભાગમાં દરરોજ 5થી 7 લોકો ઓપીડીમાં ટેટુ દૂર કરાવવા માટે પહોંચી રહ્યા છે.
ખાનગી હોસ્પિટલ્સમાં ટેટુ રિમૂવલ ખર્ચ ખૂબ જ ઉંચો હોવાથી લોકો સિવિલ હોસ્પિટલનો સહારો લઈ રહ્યા છે.હોસ્પિટલમાં લેસર ટેક્નિક વડે ટેટુ દૂર કરવામાં આવે છે જેનો કોઈ દુષ્પ્રભાવ પણ નથી થતો. હોસ્પિટલમાં આ માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે.છેલ્લા 2 વર્ષ દરમિયાન કોરોના મહામારીના કારણે ટેટુ રિમુવલ માટે આવનારા લોકોની સંખ્યા ઘટી હતી પરંતુ હવે ફરી તેમની સંખ્યા વધી રહી છે.