નવી દિલ્હી, તા.22 માર્ચ 2020, રવિવાર
આખા દેશમાં જનતા કરફ્યુની અસર જોવા મળી રહી છે પણ અલીગઢમાં સીએએના વિરોધમાં પ્રદર્શન કરવા માટે દેખાવકારોએ જીદ્દી વલણ અપનાવ્યુ હતુ.
જનતા કરફ્યુ અને કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને અલીગઢમાં તંત્રે સેંકડો વખત મહિલાઓને દેખાવોમાં નહી જોડાવા માટે કરેલી અપીલ બેઅસર સાબિત થઈ હતી. મહિલાઓએ આજે પણ દેખાવો કર્યા હતા.અહીંના ઈદગાહ મેદાન ખાતે છેલ્લા કેટલાક દિવસોથી દેખાવો ચાલી રહ્યા છે.રોજ તેમાં 40 થી 50 મહિલાઓ હોય છે પણ આજે જનતા કરફ્યુનુ સામૂહિક ઉલ્લંઘન કરવાનુ નક્કી કર્યુ હોય તેમ આજે 500 મહિલાઓ દેખાવો કરવા માટે આવી હતી.
શહેરમાં કલમ 144 લાગુ હોવા છતા તેનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો હતો.પોલીસે તેમને પાછા વળવાનુ કહ્યુ તો મહિલાઓએ નારા લગાવ્યા હતા.હવે તેમની સામે પોલીસ આગળ કાર્યવાહી કરવા માટે તૈયારીઓ કરી રહી છે.