રાજકોટ સહિતના ૪ મહાનગરોમાં કોરોનાની સારવારની ખાસ આઇસોલેટેડ હોસ્પિટલો ઉભી કરાશેઃ મુખ્યમંત્રી રૂપાણી અમદાવાદ સિવિલની મુલાકાતેઃ પત્રકારો સાથે વાતચીત : લોકો ખોટો ગભરાટ ન રાખે
અમદાવાદ : અત્યારસુધી કોરોનાથી મુકત રહેલા ગુજરાતમાં બે દિવસમાં જ ૧૩ કેસો પોઝિટિવ આવતા સરકારે તેનો ફેલાવો અટકાવવા યુદ્ઘના ધોરણે કામગીરી શરુ કરી છે.આગામી દિવસોમાં કોરોનાના કેસ વધશે તેવી આશંકાએ ગમે તેવી સ્થિતિને પહોચી વળવા માટે અમદાવાદ,વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોનાની ટ્રીટમેન્ટ માટે ખાસ આઈસોલેટેડ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.સીએમ વિજયભાઇ રૂપાણીએ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલની આજે મુલાકાત લઈને કોરોના સામે લડવાની તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું.અહીં પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત હાલ બીજા અને ત્રીજા સ્ટેજની વચ્ચે છે.હવે આ વાયરસ અલગ-અલગ લોકોના સંપર્કના કારણે વ્યાપક પ્રમાણમાં જવાની શકયતા છે.જેથી તેના કેસ આગામી દિવસોમાં વધી શકે છે.રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસથી મૃત્યુનું પ્રમાણ બે ટકાથી પણ ઓછું છે,એટલે તેનાથી ગભરાવવાની જરુર નથી.જે લોકોની રોગપ્રતિકારક શકિત ઓછી છે,અને બીજા ગંભીર રોગોથી પીડાતા હોય તેમને જો કોરોનાનો ચેપ લાગે તો મુશ્કેલી વધી જાય છે.ગુજરાતમાં હાલ કુલ ૧૩ કેસો પોઝિટિવ આવ્યા છે,ગાંધીનગરમાં પણ એક કેસ પોઝિટિવ આવ્યો છે,અને તમામની ટ્રીટમેન્ટ ચાલુ છે.ગુજરાતમાં જે ૧૩ કેસ નોંધાયા છે તે તમામને બહારથી તેની અસર થઈ છે,જયારે એક કેસમાં દર્દી દિલ્હી અને જયપુરથી આવ્યા ત્યારે તેમને તેનો ચેપ લાગ્યો છે.ગુજરાતમાં અત્યારસુધી એકપણ એવો કેસ નથી નોંધાયો કે જેમાં દર્દી ભારત કે ગુજરાતની બહાર ન ગયો હોય.દુનિયાભરમાં જે સ્થિતિ હાલ સર્જાઈ છે તેને જોતા ખરાબમાં ખરાબ સ્થિતિ ઉભી થાય તો પણ તેને પહોંચી વળવાની તૈયારી સરકારે કરી છે.કોરોનાના ટેસ્ટ અને સારવારની સવલત અંગે માહિતી આપતા રૂપાણીએ કહ્યું હતું કે,કોરોનાના ટેસ્ટ ઝડપથી થાય તે માટે તમામ સરકારી હોસ્પિટલમાં વ્યવસ્થા ઉભી કરાઈ છે અને ઝડપથી સેમ્પલને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે.પોઝિટિવ કેસ નોંધાય તો દર્દીઓને ઝડપથી સારવાર મળે તે માટે પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે.ગુજરાતમાં હાલ ત્રણ લેબમાં કોરોનાનું પરિક્ષણ થઈ શકે છે,અને લેબની સંખ્યામાં વધારાઈ રહી છે.જો આગામી દિવસોમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધે તો તેના માટે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં ટ્રીટમેન્ટ માટે ખાસ આઈસોલેટેડ હોસ્પિટલની વ્યવસ્થા કરાઈ છે,અને ટૂંક જ સમયમાં આ હોસ્પિટલો કાર્યરત થઈ જશે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બનાવાયેલી નવી ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોરોના વાયરસ માટેની આઈસોલેટેડ હોસ્પિટલમાં કન્વર્ટ કરાશે અને તેમાં માત્ર કોરોનાના દર્દીની જ સારવાર થશે.


