– ચીખલી તાલુકા ડી.જે એન્ડ સાઉન્ડ એસોસીએશન દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર આપી માંગ કરી
ચીખલી : ચીખલી તાલુકા ડી.જે એન્ડ સાઉન્ડ એસોસીએશન દ્વારા ચીખલી મામલતદારને આવેદનપત્ર પાઠવી માંગ પુરી કરવા અપીલ કરી હતી આશીર્વાદ લેવા વાળાની યાત્રા જો નીકળતી હોય તો આશીર્વાદ આપવા વાળા ગણેશજીની યાત્રા પણ ડી.જે સંગીત સાથે નીકળવી જોઈએ તેવી માંગ સાથે રેલી યોજી ચીખલી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.
ચીખલી તાલુકા ડી.જે એન્ડ સાઉન્ડ એસોસિએશનના પ્રમુખ દીપેન પરમારની આગેવાનીમાં યોજાયેલ રેલીમાં મોટી સંખ્યામાં તાલુકાભરના ડી.જે સાઉન્ડના સંચાલકો, માલીકો જોડાયા હતા. અને તાજેતરમાં જ ભાજપ દ્વારા યોજાયેલ જન આશીર્વાદ યાત્રાનો ઉલ્લેખ કરી જો આશીર્વાદ આપવા વાળા ગણેશજીની યાત્રા પણ ડી.જે સંગીત સાથે નીકળવી જોઈએ તેવી માંગ કરી હતી.આ સાથે મામલતદાર પ્રિયંકાબેન પટેલને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર અમો કલાકારો,ગાયકો,વાજિંત્રો,વાદકો સાઉન્ડ માલિકો, સાઉન્ડ ઓપરેટરો કોવિડ-૧૯ ના કારણે બેરોજગારો હોય અને અમે કલાકાર પાસે બીજી કોઈ નોકરી ધંધો કે આવકના કોઈ સંશાધન નથી.ફક્ત સંગીતના કાર્યક્રમ ઉપર નિર્ભર હોઈએ જેથી હાલ અમારે ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.હાલે અનલોક ચાલુ છે.તેમાં તમામ પ્રકારના રોજગાર ધંધા ચાલુ થઈ ગયેલ છે.અને ફક્ત સંગીતકારોના જ કામકાજ બંધ છે.છેલ્લા પંદર મહિનામાં યેનકેન પ્રકારે અમારું ગુજરાન ચલાવ્યું છે.હાલે લગ્ન પ્રસંગો આવતા નથી.પરંતુ ધાર્મિક ઉત્સવો જેવા કે શ્રાવણ માસ,ગણેશ મહોત્સવ દરમ્યાન ગીત સંગીત ભજન અને સત્સંગ જેવા કાર્યક્રમો કરવાની છૂટ આપવામાં આવે તો કલાકારોની ઘણી ખરી મુશ્કેલીઓ દૂર થઈ શકે તેમ છે.તો આવા કાર્યક્રમોની પરવાનગી આપતું જાહેરનામું બહાર પાડવા વિનંતી કરવામાં આવી છે.
માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે
ચીખલી તાલુકા ડી.જે એન્ડ સાઉન્ડ એસોસિએશનના પ્રમુખ દીપેન પરમારના જણાવ્યાનુસાર ભાજપની જન આશીર્વાદ રેલી યોજાઈ હતી.જેમાં કોઈએ માસ્ક પણ પહેર્યા ન હતા.અને સોશ્યલ ડિસ્ટસન પણ જળવાયું ન હતું. આજે એક વર્ષ ૮-મહિનાથી અમોને કોઈ રોજી રોટી નથી. ડી.જે સાઉન્ડ સિસ્ટમ લોનથી લીધેલ છે.તેઓ હપ્તા પણ ભરી શકતા નથી.ત્યારે નદીમાં વાજતે ગાજતે ડી.જે સાથે મૂર્તિના વિસર્જનની છૂટ આપવી જોઈએ અને માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


