અમદાવાદ : ગુજરાત લેન્ડ રેવન્યૂ કોડના મામલે એક મહત્ત્વનો ચુકાદો આપતાં હાઇકોર્ટે ઠરાવ્યું છે કે એક વાર કાયદા અન્વયે જમીન બિનખેતી થઇગઇ હોયઅને એનો હેતુફેર કોટેજ ઇન્ડસ્ટ્રીઝ માટે કરાયો હોય પરંતુ જો ઇન્ડસ્ટ્રીનો પ્રકાર બદલાઇ પણ જાય તો કોઇ ફેર કે ફરક પડતો નથી.આ સાથે જ હાઇકોર્ટે અરજદારની પ્લાન રિવિઝનની અરજી ગ્રાહ્ય રાખી હતી જેમાં તેમણે જમીનનો પ્લાન માર્બલ કોટેજ ઇન્ડસ્ટ્રીઝને કમર્શિયલ પર્પઝ માટે ફેરવવાની મંજૂરી માંગી હતી.એટલું જ નહીં હાઇકોર્ટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના આદેશને પણ રદ કર્યો હતો જેમાં કલેક્ટરે જમીનના પ્લાનની રિવિઝન અરજી ફગાવી કાઢી હતી.
હાઇકોર્ટના જસ્ટિસ એ.પી.ઠાકરે આદેશમાં નોંધ્યું હતું કે,‘પ્રસ્તુત કેસમાં જમીન બિનખેતી થઇ ગઇ છે અને તે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ માટે થઇ હતી પરંતુ એનાથી કોઇ ફેર કે ફરક પડતો નથી,જો ધારો કે ઇન્ડસ્ટ્રીમાં કોઇ ફેરફાર થઇ જાય.એટલું જ નહીં આ પ્રકારના જ મામલામાં અગાઉ કલેક્ટર દ્વારા મંજૂરી આપતા આદેશો કરવામાં આવ્યા જ છે.અલબત્ત,આ મંજૂરીઓ કયા સંજોગોમાં આપવામાં આવી એ દર્શાવવા માટેનું કોઇ મટિરિયલ નથી પરંતુ એવા જ અન્ય કેસોમાં રાજ્ય સરકાર મંજૂરી આપવાનો ઇનકાર કરી શકે નહીં.’
આ કેસની હકીકત એવી છે કે મૂળ જમીનના માલિકે ગુજરાત લેન્ડ રેવન્યૂ કોડની ધારા હેઠળ તેમની જમીનને વેચવાની મંજૂરી માટે કલેક્ટર કચેરીનો સંપર્ક સાધ્યો હતો.તેઓ મેસર્સ નિર્મલ માર્બલને માર્બલ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ માટે જમીન વેચવા માંગતા હતા.આ જમીન કેટલીક શરતો સાથે વર્ષ ૨૦૧૫માં કોટેજ ઇન્ડસ્ટ્રીઝ માટે વેચવાની મંજૂરી આપવામાં આવી હતી.ત્યારબાદ આ જમીન માધવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેચવામાં આવી હતી.જેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી કેમ કે તેમની સામે કાર્યવાહી શા માટે ન કરવી એવી નોટિસ કલેક્ટર દ્વારા પાઠવવામાં આવી હતી.જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે કોટેજ ઇન્ડસ્ટ્રી શરૂ થઇ નહોતી અને માધવ ઇન્ફ્રા ઇન્ડસ્ટ્રીઝ વિભાગમાં નોંધાયેલી છે કે કેમ તેનો કોઇ પુરાવો અપાયો નથી.તેથી તેમની સામે કાર્યવાહી શા માટે ન કરવી.આ નોટિસ અને નિર્ણયને અરજદાર કંપનીએ હાઇકોર્ટ સમક્ષ પડકાર્યો હતો.જેમાં હાઇકોર્ટે ઉક્ત આદેશ કરી અરજદારની અરજીને ગ્રાહ્ય રાખી કલેક્ટરના આદેશને રદ કર્યો હતો.