વેપારીઓ અને માથાડી કામગારોની આંદોલનની ધમકી પછી એપીએમસીના સંચાલકોએ રસ્તાઓ સુધારવાનું,ડ્રેનેજ તથા બજારના ગેટોનું દુરસ્તીકરણ જેવાં કાર્યોનું ભૂમિપૂજન કર્યું નવી મુંબઈના વાશીમાં આવેલી ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી માર્કેટમાં ઘણાં વર્ષોથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સાથે ગટરો અને સિવરેજ લાઇનની સમસ્યાઓથી વેપારીઓ અને માથાડી કામગારો કંટાળી ગયા હતા અને થોડા દિવસ પહેલાં જ તેમણે આંદોલન કરવાની ધમકી ઉચ્ચારી હતી.
જોકે ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે એપીએમસીના સંચાલકોએ રસ્તાના નૂતનીકરણ, ડ્રેનેજનું દુરસ્તીકરણ,બજારના ગેટોનું દુરસ્તીકરણ જેવાં કાર્યોનું ભૂમિપૂજન કરતાં વેપારીઓને સમસ્યાઓના નિરાકરણની આશા જન્મી હતી.એપીએમસીની સમસ્યાઓને સમયે-સમયે વાચા આપવા માટે વેપારીઓએ‘મિડ-ડે’નો આભાર માન્યો હતો.આ અગાઉ એપીએમસીની મસાલા બજારના વેપારીઓએ એપીએમસીના સંચાલકોને ધમકી આપતાં કહ્યું હતું કે જો આ ચોમાસામાં પાણી ભરાયા બાદ એક પણ દુર્ઘટના બની તો અમે મુંબઈને માલ સપ્લાય કરવાનો બંધ કરી દઈશું,ભલે પછી માર્કેટમાં ભાવમાં ઉછાળો આવે.
વેપારીઓની આ ધમકી પછી હવે માથાડી કામગાર નેતા નરેન્દ્ર પાટીલે એપીએમસીના સંચાલકોને આડે હાથ લીધા છે.તેમણે સંચાલકો પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે‘એપીએમસીના સંચાલકો વસૂલી સંચાલક છે.એપીએમસીમાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે જેની સામે અમે હવે ચૂપ નહીં બેસીએ.પહેલાં સરકાર સમક્ષ આની રજૂઆત કરીશું.ત્યાર પછી જરૂર પડશે તો આંદોલનનો માર્ગ અપનાવીશું.’એની એપીએમસીના સંચાલકો પર જોરદાર અસર થઈ હતી અને ગઈ કાલથી રસ્તાઓ અને ગટરોના નૂતનીકરણના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા.


