નવી દિલ્હી : નૈઋત્યનું ચોમાસું આગામી બેથી ત્રણ દિવસમાં કેરળમાં આવી પહોંચવાની ધારણા છે.તેનાથી ભારતના કૃષિ આધારિત અર્થતંત્ર માટે જીવનરેખા ગણાવતા ચોમાસાનો દેશભરમાં ધીમો પ્રારંભ થશે, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું.અગાઉ હવામાન વિભાગે બંગાળના અખાતમાં ત્રાટકેલા અસાની વાવાઝોડાની અસરને કારણે શુક્રવાર(27 મેએ)કેરળમાં ચોમાસુ આગમન થવાની આગાહી કરી હતી.આ અગાહીમાં ચાર દિવસની મોડલ એરર થઈ હતી.સેટેલાઇટ ઇમેજ મુજબ કેરળના દરિયાકાંઠા અને દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્ર પર વાદળો ઘેરાયા છે.તેથી આગામી 2થી 3 દિવસમાં કેરળમાં ચોમાસાના પ્રારંભ માટે સાનુકુળ સ્થિતિ સર્જાઈ છે.સામાન્ય રીતે કેરળ અને લક્ષ્યદીપના 14 વેધર સ્ટેશનમાંથી 60 ટકા સ્ટેશનમાં સતત બે દિવસ સુધી 2.5 મીમી વરસાદ નોંધાય તો વેધર ઓફિસ કેરળમાં ચોમાસાના આગમનની જાહેરાત કરે છે.હવામાન વિભાગે અરેબિયન સમુદ્રમાંથી આવતા પશ્ચિમ પવનોની અસર હેઠળ આગામી પાંચ દિવસ દરમિયાન કેરળ અને લક્ષ્યદીપમાં ગાજવીજ સાથે વ્યાપક હળવો-મધ્યમ વરસાદ થવાની તથા આંધ્રપ્રદેશ,તેલંગણા,કર્ણાટક,તમિલનાડુ,પુડુચેરીમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે.આ ઉપરાંત આગામી બેથી ત્રણ દિવસમાં ઉત્તરાખંડ,પશ્ચિમ પંજાબ,ઉત્તર હરિયાણા,ઉત્તરપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.