ઈસ્લામાબાદ, તા. 02 મે 2022, સોમવાર : પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની મુશ્કેલી હવે વધી રહી છે.મળતી માહિતી પ્રમાણે ઈમરાન ખાનની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.પીએમ શહબાઝ શરીફની વિરુદ્ધમાં નારા લગાવવા મામલે ઈમરાન ખાન સહીત 150 લોકોની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.શાસક પક્ષ પીએમએલ-એન સમર્થકોનું કહેવું છે કે, મદીનામાં જે પણ થયું તે ઈમરાન ખાનની પાર્ટીના ઈશારે થયું હતું.
પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ તરફથી મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે, પૂર્વ પીએમ ઈમરાન ખાનની મદીનામાં નારા લગાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ જ સપ્તાહમાં સાઉદીના મદીનામાં શહબાઝ શરીફ અને તેમના પ્રતિનિધિમંડળની વિરુદ્ધમાં ચોર-ચોરના નારા લગાવવામાં આવ્યા હતા.એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ નારા પૂર્વ પીએમ ઈમરાન ખાનના ઈશારે લગાવવામાં આવ્યા હતા.
ગયા શનિવારે રાત્રે પાકિસ્તાનના ફૈસલાબાદમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તેમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ અને પૂર્વ પીએમ ઈમરાન ખાન, તેમની સરકારમાં મંત્રી રહેલા ફવાદ ચૌધરી અને પૂર્વ પીએમ શાહબાઝ ગૂલના પૂર્વ સલાહકાર શેખ રશીદ, નેશનલ એસેમ્બલીના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરી, લંડનમાં ઈમરાન ખાનના નજીકના સહયોગી અનિલ મૂસરત અને સાહિબજાદા જહાંગીર સહીત 150 અન્ય લોકોની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
ફૈસલાબાદમાં રહેનારા નઈમ ભટ્ટીએ કહ્યું કે, મદીનામાં નારા લગાવીને અપવિત્ર કરી છે.ગુંડાગીરી કરવામાં આવી અને મુસ્લિમોની ભાવનાઓને દુ:ખ પહોંચાડ્યું હતું.મળતી માહિતી પ્રમાણે મદીનામાં Masjid-e-Nabviમાં પીએમ શહબાઝ શરીફ અને તેમના પ્રતિનિધિ મંડળને નિશાન બનાવાના ઉદ્દેશ્યથી પૂર્વ પીએમ ઈમરાન ખાને 100થી વધુ સમર્થકોને પાકિસ્તાન અને બ્રિટેનથી સાઉદી અરબ મોકલાવ્યા હતા.ખાન અને પીટીઆઈના અન્ય નેતાઓએ આ અંગે પાર્ટી કાર્યકર્તાઓને સૂચના આપી છે.ફૈસલાબાદ પોલીસે કહ્યું હતું કે, નામાંકિત લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.આ કેસમાં પોલીસે પાકિસ્તાન દંડ સંહિતાની કલમ 295એ સહીત અન્ય ધારાઓમાં એફઆઈઆર નોંધી છે.