રાજ્યમાં પતિ પત્નીના ઝગડાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે.કેટલાક કિસ્સાઓમાં તો પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને તેની હત્યા કરી હોય તેવું પણ સામે આવે છે.તો ક્યારેક પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોય તેવી ઘટના પણ સામે આવી છે પરંતુ ખેડા જિલ્લાના કપડવંજમાં એક પત્નીએ પતિની હત્યા કરી નાખી હતી.હત્યા કરવાનું કારણ માત્ર એટલું જ હતું કે, પતિ પત્ની પર તેના ચારિત્ર્યને લઈને વહેમ રાખીને તેની સાથે અવાર નવાર ઝઘડા કરતો હતો અને એટલે રોષે ભરાયેલી પત્નીએ પતિની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને દફનાવી દીધો હતો પરંતુ આ કૃત્ય કરવાના કારણે પત્નીને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે.
રિપોર્ટ અનુસાર ખેડા જિલ્લાના કપડવંજમાં સુલતાનપુરામાં મુકેશ પરમાર નામનો વ્યક્તિ તેની પત્ની સાથે રહેતો હતો. મુકેશે હિના સાથે બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને હાલ લગ્નજીવનમાં મુકેશને સંતાનમાં એક દોઢ વર્ષનો દીકરો છે.જોકે પ્રેમ લગ્ન બાદ પતિ મુકેશ તેની પત્નીના પર ચારિત્ર્યની શંકા રાખતો હતો અને આ બાબતને લઈને હિના અને મુકેશનો ઘણી વખતે ઝઘડો થતો હતો અને ગત રવિવારે પણ હિના અને મુકેશ વચ્ચે ઝઘડો થયો હતો.
વારંવાર પત્નીના ચારિત્ર્યની શંકા રાખીને ઝઘડો કરતો હોવાના કારણે રવિવારે થયેલા ઝઘડામાં રોષે ભરાઇને હિનાએ પતિને દંડા વડે માર માર્યો હતો. જેમાં હિનાએ પતિને માથાના ભાગે દંડાનો ફટકો મારતા પતિને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળ પર મોત થઈ ગયું હતું અને પતિના મોતની વાત કોઈ સગા સંબંધીઓને ખબર ન પડે એટલા માટે હિનાએ પોતાના ઘરની પાછળ જે ખાડો ખોદ્યો હતો અને તેમાં પતિ મુકેશના મૃતદેહને દફનાવી દીધો હતો પરંતુ કહેવાય છે કે, કરેલું પાપ છાપરે ચઢીને પોકારે છે અને હિનાએ પતિ મુકેશની હત્યા કરી નાખી છે તે વાતની જાણ પોલીસને થઈ હતી. તેથી કપડવંજ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે આરોપી હિનાની પતિની હત્યા કરવા બદલ ધરપકડ કરી હતી.