એક તરફ લદ્દાખમાં ચીનની અવળચંડાઇ સામે આવી છે.તો બીજી તરફ જમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ છે.આ સ્થિતિમાં સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે બુધવારે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી રહ્યા છે.સેના પ્રમુખ નરવણેની આગેવાનીમાં યોજાઇ રહેલી આ બેઠકમાં સેનાના ટોપ કમાન્ડર સામેલ થશે.સેનાના સૂત્રોનું કહેવું છે કે,આ બે દિવસીય બેઠકમાં સેનાના અધિકારીઓ સુરક્ષા મુદ્દાની સાથે સાથે અન્ય મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરશે. આજે ત્રણેય સેના પ્રમુખોની રાજનાથસિંહ સાથે પણ બેઠક યોજાઈ છે. જેમાં મુખ્ય મામલો ચીન અને ભારત વચ્ચેનો તણાવ હતો.
5 હજાર જેટલા સૈનિકો ખડકી દીધા
ચીન અને ભારતની વચ્ચે લદ્દાખના ગલવાન નદી વિસ્તારમાં તણાવ વધુ ઉગ્ર બન્યો છે.6 રાઉન્ડની વાતચીત છતાં પણ કોઇ પરિણામ આવ્યું નથી. ત્યારે ભારતે પણ હવે વિસ્તારમાં સેનાની તૈનાતી વધારી દીધી છે.ગત્ કેટલાક સપ્તાહમાં ચીને આ વિસ્તારમાં પોતાની સ્થિતિ મજબૂત કરીને આશરે 5 હજાર જેટલા સૈનિકો ખડકી દીધા છે.જેમાંથી ઘણા સૈનિકો ભારતીય સરહદમાં ઘૂસી આવ્યા છે.ભારતીય સેનાએ ચીની ચાલને કાઉન્ટર કરવા માટે સેનાની તૈનાતી વધારવાની સાથે પેટ્રોલિંગ પણ વધારી દીધું છે.વર્ષ 1962ના ભારત-ચીન યુદ્ધનું કેન્દ્ર રહેલા ગલવાન વિસ્તારમાં એલએસીની નજીક ઘૂસણખોરોને હાંકી કાઢવા માટે ભારતીય સેનાને બળ પ્રયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે.
ચીની સૈનિકોની સંખ્યા ત્રણ ગણી
ભારતીય સેનાએ વર્તમાન સ્થિતિ અંગે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી,પરંતુ સૂત્રોનું કહેવું છે કે,સરહદની નજીક ચીની સેનાની સંખ્યા ઘણી વધારે છે.જે ઘૂસણખોરોને સપોર્ટ કરી રહી છે.ભારતીય જવાનોની ઉપસ્થિતિની તુલનામાં ચીની સૈનિકોની સંખ્યા ત્રણ ગણી હોવાની વાત સામે આવી રહી છે. તદ્ઉપરાંત ભારે વાહનની સાથે સાથે મોબાઇલ આર્ટિલરી પણ સરહદે તૈનાત હોવાની વાત જણાવાઇ છે.સૂત્રોનું કહેવું છે કે, LOC પર ચીની સેનાની તૈનાતી એક સમજી વિચારીને તૈયાર કરાયેલી રણનીતિનો ભાગ છે.સૂત્રોએ જણાવ્યું કે,ચીનની સાથે છ તબક્કાની વાતચીત નિષ્ફળ રહી છે.પેંગોંગ શો તળાવ અને ગલવાન ફિંગર વિસ્તાર વિસ્તારમાં ચીની સેનાએ સ્થાયી બંકર બનાવવા માટે કેટલાક વિસ્તારમાં ખોદકામ પણ કર્યું છે.તેનો મતબલ એ થાય કે, ચીની સેના અહીં સ્થાયી પોસ્ટ બનાવવા ઇચ્છે છે.