વડોદરા : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર દરેક પક્ષમાંથી શરુ કરી દેવામાં આવ્યો છે.તેવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ હાલ ગુજરાતના પ્રવાસે છે.તેમણે પોતાની વડોદરા પ્રવાસ વખતે BJP પર આકરા પ્રહારો કર્યાં હતાં.તેમણે AIMIM અને AAPને ભાજપની B ટીમ ગણાવી હતી અને દેશના PM મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે મોદીજી સાઉદી અરેબિયાની મસ્જિદમાં જઈને ટોપી પહેરી શકે છે તો ભારતમાં કેમ નથી પહેરતા? તેમના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે.
AIMIM અને AAP ભાજપની B-ટીમ છે
વડોદરા ખાતે પત્રકાર પરિષદમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી અને ઔવેસીની પાર્ટી ભાજપની બી ટીમ છે.ઔવેસીની પાર્ટી ધાર્મિકતાના મુદ્દે ચૂંટણી જંગમાં ઉતરે છે અને માત્ર મુસ્લિમોના વોટ માંગે છે પરંતુ કોંગ્રેસે આવા લોકો સાથે ક્યારેય સમાધાન કર્યું નથી.
મોરબી દુર્ઘટના વખતે BJPના નેતાઓ મીટિંગમાં હતા
જ્યારે મોરબીની દુર્ઘટના સર્જાઈ ત્યારે ભાજપના અગ્રણીઓની મીટીંગ ચાલી રહી હતી પરંતુ દુર્ઘટના સર્જાતા સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.પરંતુ ભાજપના કોઈ નેતા પણ ત્યાં સાંજે 7:30 વાગ્યા સુધીમાં પહોંચ્યા ન હતા તેવો તેમણે આક્ષેપ કર્યો હતો.
રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જેવું ક્યાય જણાતું નથી- દિગ્વિજય સિંહ
તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે પરંતુ એક વખતના એમના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ અધિકારી વણઝારાને ભાજપ સરકારે અનેક વચનો આપ્યા હોવાનું કહેવાય છે પરંતુ તેમની એક પણ વાત પૂરી નહીં થતા તેમણે અલગ રાજનૈતિક દળ બનાવ્યું છે.દિગ્વિજય સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના પ્રેમાળ વાયદા હોય છે પરંતુ કોઈ વાયદા પૂરા નહીં કરનારી ભાજપ પાર્ટી બનાવી દીધી હોવા સહિત રાજ્યમાં ક્યાંય પણ કાયદો વ્યવસ્થા જેવું જણાતું નથી તેવો આક્ષેપ પણ દિગ્વિજય સિંહ કર્યો હતો.
ગુજરાતનો વિકાસ કરવા કોંગ્રેસ જ સક્ષમ- દિગ્વિજયસિંહ
દિગ્વિજયસિંહ એવો પણ આક્ષેપ કર્યો હતો ગુજરાતમાં સરકારનો મતલબ નરેન્દ્ર મોદી અમિત શાહ અને બ્યુરોકસી સહિત પોલીસ તેનું પાલન કરે છે.રાજ્યમાં પેપર લીક થવા જેવી ઘટના મોટાભાગના તમામ ક્ષેત્રોમાં થઈ હોવાનું તેમણે કહ્યું હતું કે આ બાબતે હજી સુધી કોઈની સામે કોઈ પગલા લેવાયા હોય એવું જણાતું નથી.આમ હવે ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકારની જરૂર છે અને તેમાંય પરિવર્તન અત્યંત જરૂરી છે.જેમાં એકમાત્ર કોંગ્રેસ સક્ષમ છે કારણ કે આમ આમ આદમી પાર્ટી અને ઔવેસીની પાર્ટી ભાજપની બી ટીમ હોવાનું પડદા પાછળ સૌ કોઈ જાણતા હોવાનું દિગ્વિજય સિંહે અંતમાં જણાવ્યું હતું.