જ્ઞાનવાપી મસ્જિદની વીડિયોગ્રાફી પહેલા કાશી વિશ્વનાથ મંદિરના ગેટ સામે નમાજ પઢવા લાગી મહિલા

HM News
3 Min Read

– લાંબા સમય સુધી રાહ જોયા બાદ પોલીસે આખરે તે મહિલાને કસ્ટડીમાં લીધી

વારાણસી, તા. 06 મે 2022, શુક્રવાર : કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ પરિસર સ્થિત શ્રૃંગાર ગૌરી સહિત અન્ય વિગ્રહોમાં દર્શન પૂજન અને સુરક્ષાની માગણી અંગેની એક અરજી મામલે સુનાવણી દરમિયાન કોર્ટે આજે મંદિર અને મસ્જિદનો સર્વે કરાવવાનો આદેશ આપેલો છે.આજે બપોરે 3:00 વાગ્યાથી કોર્ટ કમિશનરની આગેવાનીમાં મંદિર અને મસ્જિદનો સર્વે થશે અને વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે.ત્યારે આ બધા વચ્ચે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરના ગેટ નંબર-4ની સામે એક મહિલા અચાનક જ નમાજ પઢવા લાગી હતી.ઘણાં લાંબો સમય સુધી તે મહિલા નમાજ પઢતી રહી હતી અને આખરે પોલીસ કર્મચારીઓએ ઘણી રાહ જોયા બાદ તેને બળજબરીથી ઉઠાવીને કસ્ટડીમાં લીધી હતી.આ સમગ્ર ઘટના દરમિયાન કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનો વિરોધ નહોતો કરવામાં આવ્યો અને માહોલ પણ શાંતિપૂર્ણ જળવાઈ રહ્યો હતો.

જોકે કાશી વિશ્વનાથ મંદિર ધામના ગેટ નંબર-4 પાસેથી જ મસ્જિદ તરફ જવાનો રસ્તો નીકળે છે.આશરે 8 ફૂટ પહોળા આ રસ્તા તરફથી મસ્જિદનો સમગ્ર હિસ્સો દેખાય છે.સુરક્ષિત વીડિયોગ્રાફી માટે મસ્જિદના આ હિસ્સાને લીલા પડદાં અને હોર્ડિંગ વડે ઢાંકવામાં આવ્યો છે જેથી રસ્તા પરથી કોઈ ગતિવિધિ ન જોઈ શકાય.કાશી વિશ્વનાથ મંદિરના ગેટ નંબર-4 બહાર નમાજ પઢી રહેલી મુસ્લિમ મહિલાનું નામ આઈસા હોવાનું સામે આવ્યું છે.તે વારાણસીના જૈતપુરા થાણા ક્ષેત્રની રહેવાસી છે. પોલીસના કહેવા પ્રમાણે ઉપરોક્ત મહિલા માનસિકરૂપે અસ્વસ્થ છે.

આ ઉપરાંત જ્ઞાનવાપી મસ્જિદમાં આજે જુમ્માની નમાજ અદા કરવા માટે મોટી સંખ્યામાં નમાજીઓ ઉભરાયા હતા.ભારે ભીડના પગલે નમાજીઓને જ્ઞાનવાપી મસ્જિદમાંથી પરત મોકલવામાં આવ્યા હતા.કાશીના લોકોના કહેવા પ્રમાણે આજ સુધી આટલી ભીડ નથી જોવા મળેલી. આજે મંદિર અને મસ્જિદનો સર્વે થવાનો છે તેના લીધે આટલી ભીડ થઈ હોવાનું લાગી રહ્યું છે.

સર્વેની કાર્યવાહીમાં હિંદુ પક્ષના 15 જેટલા લોકો, કોર્ટ કમિશનરની ટીમ અને 3 ફોટો-વીડિયોગ્રાફર પણ ઉપસ્થિત રહેશે.ઉપરાંત પ્રતિવાદી મુસ્લિમ પક્ષના 5 વકીલ અને અંજુમન ઈંતજામિયા મસાજિદ કમિટીના લોકો પણ હાજર રહેશે.સર્વેની કાર્યવાહીના અનુસંધાને આજે સવારથી જ કાશી વિશ્વનાથ મંદિરના દરેક ખૂણે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે.કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ ઉપરાંત સૌ કોઈનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યાર બાદ જ પ્રવેશ અપાઈ રહ્યો છે. આ તરફ મસ્જિદની સુરક્ષા પહેલેથી જ પેરામિલિટ્રી ફોર્સના હવાલે છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *