– આગામી વસ્તી ગણતરી વખતે આદિવાસી સમૂહ માટે અલગ કોલમની માંગ
રાંચી, તા. 21 : ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને એક ખૂબ જ વિવાદિત નિવેદન આપ્યું છે. શનિવારે રાતે હાવર્ડ ઈન્ડિયા કોન્ફરન્સમાં વર્ચ્યુઅલ સંબોધન દરમિયાન હેમંત સોરેને આદિવાસીઓ હિંદુ ન હોવાનું જણાવ્યું હતું.હેમંત સોરેને જણાવ્યું કે, આજે આદિવાસીઓની સ્થિતિ સારી નથી અને બંધારણ દ્વારા પ્રાપ્ત સંરક્ષણો છતાં આદિવાસીઓને જગ્યા નથી આપવામાં આવી.સદીઓથી આદિવાસીઓને દબાવવામાં આવ્યા છે અને આજે પણ તેમને સારી નજરે નથી જોવામાં આવતા.
વિવાદિત નિવેદન
સંબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, “આદિવાસીઓ ન કદી હિંદુ હતા, ન છે.આદિવાસી સમાજ પ્રકૃત્તિપૂજક છે અને તેમના રીતિ-રિવાજો અલગ છે.સદીઓથી આદિવાસી સમાજને દબાવવામાં આવ્યો છે.કદીક ઈન્ડીજીનસ,કદીક ટ્રાઈબલ તો કદીક અન્ય અંતર્ગત ઓળખ થતી આવી છે.મુખ્યમંત્રીએ પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે,હું એક આદિવાસી છું અને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યો છું પરંતુ તે સરળ નહોતું.
આદિવાસીઓ માટે માંગણી
મુખ્યમંત્રીએ કહ્યું કે, હાયર એજ્યુકેશનમાં પણ આદિવાસીઓને વધુ અવસર નથી મળ્યા જેથી સરકાર આદિવાસી બાળકોને વિદેશની પ્રસિદ્ધ સંસ્થાઓમાં ભણવાની તક આપી રહી છે.તેમણે જનગણના કોલમમાં આદિવાસીઓ માટેની અલગ કોલમનો ઉલ્લેખ કરતા કહ્યું કે,આગામી વસ્તી ગણતરી વખતે આદિવાસી સમૂહ માટે અલગ કોલમ હોવી જોઈએ જેથી તેમની પરંપરા આગળ વધી શકે અને સંરક્ષિત થઈ શકે.
JNU પર બધાની નજર
જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય (JNU)નો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, “જેએનયુની સ્થિતિ શું છે તે બધાએ જોયું છે.કેટલાક નબળા નેતાઓ તેમના પર પણ આ પ્રકારે આરોપો લગાવે છે પણ તેઓ સંઘર્ષ કરનારા લોકો છે.આદિવાસી સમાજ હવે આવા પ્રયત્નોને સફળ નહીં થવા દે.” પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ પ્રવાસી મજૂરોની સ્થિતિથી લઈને શિલાવર્ત પરંપરાનો ઉલ્લેખ પણ કર્યો હતો.