બેંગલોર : સાઉથ આફ્રિકા સામેની પાંચ ટી20 મેચની સિરીઝ ડ્રો રહ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે આ વર્ષે યોજાનારા ટી20 વર્લ્ડ કપમાં રમવાની તૈયારી કરી રહી છે ત્યારે ટીમના કોચ રાહુલ દ્રવિડની માનવું છે કે દિનેશ કાર્તિકે આ સિરીઝમાં શાનદાર દેખાવ કરીને અમારા માટે ઘણા વિકલ્પો ખોલી નાખ્યા છે.ભારતીય ટીમના કોચ બન્યા બાદ રાહુલ દ્રવિડ સામે અત્યારે વર્લ્ડ કપ માટે ભારતના સર્વશ્રેષ્ઠ 18થી 20 ખેલાડીઓ તૈયાર કરવાની જવાબદારી છે.ભારતીય ટીમ જુલાઈ મહિનામાં ઇંગ્લેન્ડ સામે સિરીઝ રમનારી છે અને ત્યાર બાદ ભારત વર્લ્ડ કપ માટેની પોતાની ટીમને આખરી ઓપ આપી દે તેવી સંભાવના છે. રાહુલ દ્રવિડ માટે વર્લ્ડ કપની ટીમનો હિસ્સો બનવા માટે માત્ર પ્રતિભાની જ જરૂર નથી કે જે ખેલાડી ટીમમાં પ્રવેશવા માટે મથી રહ્યો હોય પરંતુ એવા ખેલાડીની જરૂર છે જે 15 ખેલાડીઓના દળમાં સ્થાન હાંસલ કરવાનો મજબૂતીથી દાવો કરી શકતો હોય.
સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચની સિરીઝની અંતિમ મેચ રવિવારે અહીં રમાઈ હતી જે વરસાદને કારણે ધોવાઈ જતાં સિરીઝ 2-2થી ડ્રો રહી હતી.મેચ બાદ રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે કાર્તિકનું ફોર્મ જોતા આનંદ થાય છે અને તેણે એ કામગીરી કરી દેખાડી છે જેના માટે તેને પસંદ કરવામાં આવ્યો હતો.આ સારી નિશાની છે અને તેનાથી અમારા માટે ઘણા વિકલ્પો સામે આવ્યા છે જેના દ્વારા અમે આગળ વધી શકીશું.
દિનેશ કાર્તિકે રાજકોટ ખાતેની ચોથી ટી20માં 27 બોલમાં શાનદાર 55 રન ફટકાર્યા હતા જેને કારણે ભારત પડકારજનક સ્કોર રજૂ કરી શક્યું હતું અને અંતે મેચ જીતીને સિરીઝ સરભર કરવામાં સફળ રહ્યું હતું આ ઇનિંગ્સથી પ્રભાવિત થયેલા રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે છેલ્લા બે ત્રણ વર્ષથી કાર્તિક આઇપીએલમાં અસામાન્ય પ્રદર્શન કરી રહ્યો હતો અને તેથી જ તેને ભારતીય ટીમમાં સામેલ કરાયો હતો.તેણે રાજકોટની મેચના પ્રદર્શનથી તમામ અપેક્ષાઓ સાર્થક કરી દીધી છે.
રાહુલ દ્રવિડના મતે કાર્તિક અને હાર્દિક પંડ્યા અંતિમ ઓવર્સમાં ભારતના બે મહત્વપૂર્ણ ખેલાડી છે.તેણે જણાવ્યું હતું કે છેલ્લી પાંચ ઓવરમાં અમારે જોરદાર દેખાવની જરૂરિયાત હતી જેનાથી અમે ઉમદા સ્કોર રજૂ કરી શકીએ.આ સંજોગોમાં હાર્દિક અને કાર્તિકે શાનદાર બેટિંગ કરી હતી.ઇનિંગ્સના અંત ભાગમાં બંને ખેલાડી અમારા માટે એક દળ જેવા પુરવાર થઈ રહ્યા છે.ભારતીય ટીમના કોચે એમ કહેવામાં જરાય ખચકાટ દાખવ્યો ન હતો કે દિનેશ કાર્તિકે તેની રમત દ્વારા આગામી ટી20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં સ્થાન માટે મજબૂત દાવેદારી રજૂ કરી દીધી છે.
રાહુલ દ્રવિડ કોઈ સમય મર્યાદા નક્કી કરવા માગતો ન હતો પરંતુ તેણે એવા સંકેત આપી દીધા હતા કે ઇંગ્લેન્ડ સામેની ટી20 સિરીઝને અંતે તેને ઓસ્ટ્રેલિયામાં યોજનારા ટી20 વર્લ્ડ કપાં રમનારા ભારતના 18થી 20 ખેલાડીનો અંદાજ આવી જશે.ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સાતમી જુલાઈથી લિમિડેટ ઓવરની સિરીઝનો પ્રારંભ થશે જેમાં ત્રણ ટી20 અને ત્રણ વન-ડે મેચ રમાશે.તે અગાઉ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ગયા વર્ષે બાકી રહી ગયેલી એક ટેસ્ટ મેચ રમશે.દ્રવિડે જણાવ્યું હતું કે દેખીતી રીતે જ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમના મુખ્ય 18થી 20 ખેલાડી સુનિશ્ચિત કરી દેવાશે ત્યાર બાદ તેમાં ઇજા અથવા તો કોઈ અસામાન્ય સંજોગો સિવાય પરિવર્તનની જગ્યા રહેશે નહીં.તેણે ઉમેર્યું હતું કે આ ખેલાડીઓ આયર્લેન્ડ સામેની આગામી સિરીઝ અથવા તો ત્યાર બાદની ઇંગ્લેન્ડ સામેની સિરીઝ દરમિયાન નક્કી થશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ અમે શક્ય તેટલા વહેલા ટીમ નિશ્ચિત કરી દેવા માગીએ છીએ.

