– દશેરા પર અગાઉના વર્ષો કરતાં સોના-ચાંદીના ઘરેણાનું વેચાણ વધ્યું
– નવરાત્રિ દરમિયાન સોનાની કિંમત પર 1200 થી 1300 રૂપિયાનો વધારો થયો
– લોકોમાં હજી પણ રોકાણની પસંદગી સોના ઉપર
દશેરના દિવસથી જાણે દિવાળીનો માહોલ હોય તેવી સ્થિતિ સોના ચાંદીના બજારમાં જોવા મળી છે.સોના-ચાંદીના બજારમાં છેલ્લા ઘણાં સમયથી તેજીનો દોર જોવા મળી રહ્યો ન હતો ત્યાં આ દશેરા પર અગાઉના વર્ષની સરખામણીમાં 60 થી 70 જેટલો વધુ વેપાર થયો છે.બીજી તરફ સોનાના ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં રૂ.1250 થી લઈ 1370 સુધીનો વધારો થયો છે.
કેટલો થયો ભાવ વધારો
સામાન્ય રીતે દશેરાથી દિવાળી માટેની ખરીદી બજારમાં જોવા મળતી હોય ત્યારે આ વર્ષે ગત બે વર્ષની સરખામણીમાં દશેરા પર સાી ખરીદી જોવા મળી છે.નવરાત્રિમાં સોનાના ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં જ 22 કેરેટ 10 ગ્રામમાં રૂ.1250નો વધારો થયો છે. જ્યારે 24 કેરેટ 10 ગ્રામના ભાવમા રૂ.1370નોવધારો થયો છે.આજે 22 કેરેટના 10 ગ્રામના ભાવ રૂ.47780 અને 24 કેરેટ 10 ગ્રામના ભાવ રૂ.52130 રહ્યા હતા.વિજ્યાદશમીથી શરૂ થયેલી પ્રોત્સાહક ખરીદીના પગલે આગામી દિવાળીના તહેવારો અને ત્યાર બાદ લગ્નસરાની ખરીદી પણ સારી રહેશે તેમ જ્વેલર્સ માને છે.ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં થયેલા ઘટાડાના પગલે પણ સોનાના ભાવ વધી રહ્યા છે.અગાઉના મહિનામાં રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધની અસર પણ જોવા મળી હતી.
વેપારીઓ અને એક્સપર્ટનું શું છે કહેવું ?
અમદાવાદમાં વેપારીઓના અનુસાર, અગાઉના વર્ષોની સરખામણીમાં આ વર્ષે સોનાની જ્વેલરી બજારમાં 60 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.જ્યારે ચાંદીના ભાવમાં પણ 10 થી 11 ટકાનો વધારો થયો છે ત્યારે લોકોએ ભેટસોગાદ માટેની ખરીદી મોટાપ્રમાણમાં કરી છે તેવું બજારમાં વેપારીઓનો મત છે.આ ઉપરાંત કેટલાંક વિશેષજ્ઞોનું માનવું છે આગામી દિવસોમાં તહેવારની સાથે લગ્નસરાની ખરીદી ચાલી રહી છે,તેમજ કોવિડનો ડર લોકોમાંથી જતો રહ્યો છે.સાથે જ સરકારી કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત ઉપરાંત ભથ્થા વધારાની જાહેરાત કરી છે જેની અસર સીધી બજારમાં જોવા મળી શકે છે.સોના-ચાંદીના ભાવ વધશે તેમ છતાં લોકોની ખરીદી પણ જોવા મળી શકે છે.