– મિર્ચીના કબજાની જગ્યા પ્રફુલ્લ પટેલે રિડેવલપ કરી હતી
– વરલીના પ્રખ્યાત સીજે હાઉસમાં દાઉદ ગેંગના મિર્ચીને ફાળવાયેલા બે માળ અગાઉ જપ્ત કરાયા હતા હવે પ્રફુલ્લ પટેલના ચાર માળ જપ્ત
મુંબઈ : રાજ્યસભાના સભ્ય તથા એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલની મુંબઈના વરલીમાં આવેલી પ્રખ્યાત બિલ્ડીંગ સી જે હાઉસના ચાર માળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ટાંચમાં લેવાયા છે.આ જ બિલ્ડીગમાં અગાઉ ઈકબાલ મિર્ચીને ફાળવાયેલા બે માળ પણ જપ્ત થઈ ચૂક્યા છે.આ બિલ્ડીગના રિડેવલપમેન્ટમાં પ્રફુલ્લ પટલ અને ઈકબાર મિર્ચી વચ્ચે વ્યવહારો થયાનું સામે આવતાં ઈડી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
ભારતના મોસ્ટ વોન્ટેડ ગેન્ગસ્ટર દાઉદ ઈબ્રાહિમ તથા તેના સાગરિતો અને પરિવારજનો સાથે આર્થિક વ્યવહારોના કેસમાં અગાઉ એનસીપીના નેતા નવાબ મલિક સામે કાર્યવાહી થઈ ચુકી છે.હાલ મલિક આ કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે.હવે એનસીપીના સર્વેસર્વા શરદ પવારના સૌથી નિકટવર્તી નેતાઓમાંના એક પ્રફુલ્લ પટેલ સામે દાઉદ ગેંગ સાથે વ્યવહારોન મુદ્દે જ ઈડીએ કરેલી કાર્યવાહીથી ભારે ખળભળાટ મચી ગયો છે.
વરલીમાં સીજે હાઉસ નામની બિલ્ડિંગ પ્રફુલ્લ પટેલ તથા તેમના પરિવારે રિડેવલપ કરી છે.આ પ્લોટમાં અગાઉ ઇકબાલ મિર્ચીના કબજા હેઠળની એક નાની ઈમારત હતી.પ્રફુલ્લ પટેલની કંપની દ્વારાઆ ઈમારતનું પુન:નિર્માણ કરવામાં આવ્યું ત્યારે પ્રફુલ પટેલે મિર્ચીને પૈસા અને જગ્યા આપી હોવાની ઈડીને શંકા છે.
અગાઉ, ૨૦૧૯માં ઈડીએ પ્રફુલ્લ પટેલની આ જ વ્યવહારો બાબતે ૧૨ કલાક સુધી પૂછપરછ કરી હતી. આ ઉપરાંત સીજે હાઉસમાં આવેલા ઈકબાલ મિર્ચીના બે માળ ઈડીએ અગાઉ જપ્ત કર્યા છે.મિર્ચીની દુબઈ તથા યુકેની સંપત્તિ પણ અગાઉ ઈડી દ્વારા જપ્ત થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે માજી નાગરિક ઉડ્ડયન પ્રધાન પ્રફુલ્લ પટેલ એનસીૂપીના સર્વેસર્વા શરદ પવારના નિકટવર્તી ગણાય છે.તેમની સામે ઈડીની કાર્યવાહીથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.નવાબ મલિક તથા અનિલ દેશમુખ જેવા એનસીપીના નેતાઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે.તે પછી એનસીપીના બીજા મોટા નેતા સામે કેન્દ્રીય એજન્સી દ્વારા આ કાર્યવાહી થઈ છે.