– મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધી પક્ષે મનસુખનો મુદ્દો ઉઠાવતાં શાસકોએ ડેલકરના આપઘાત પ્રકરણ ખોલ્યું
મુંબઈ : અંબાણીના ઘર નજીક વિસ્ફોટકો જેમાંથી મળ્યા તે કારના ધારક મનસુખ હિરેનના મૃત્યુ કેસમાં ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ)ના પ્રભારી પીઆઈ સચિન વઝેની ધરપકડની માગણી વિરોધી પક્ષ દ્વારા મંગળવારે વિધાનસભામાં કરવામાં આવી હતી,જેના જવાબમાં રાજય સરકારે ભાજપની સંડોવણી ધરાવતું મોહન ડેલકર આત્મહત્યા પ્રકરણે એસઆઈટી (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા તપાસ કરવાની ઘોષણા વિધાનસભામાં કરી હતી.મનસુખ રિહન,સચિન વઝે અને દાનહના સાંસદ ડેલકર પ્રકરણ મંગળવારે વિધાનસભામાં ગાજ્યું હતું.
આ મુદ્દાનો ઉત્તર આપતાં રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે ડેલકર આત્મહત્યા પ્રકરણની તપાસ એસઆઈટી મારફત તપાસ કરવામાં આવશે એવી ઘોષણા કરી હતી.ડેલકર સાત વાર સાંસદ હતા.આવી વ્યક્તિ મુંબઈમાં આવીને આત્મહત્યા કરે છે.તેમણે સુસાઈડ નોટમાં બધી બાબતોનો ઉલ્લેખ કર્યો છે.તેમાં તેમણે દાનહના પ્રશાસક પ્રફુલ્લ ખોડા પટેલનું નામ લીધું છે.પટેલ અને અન્ય અધિકારીઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.વારંવાર મુશ્કેલીઓ ઊભી કરવામાં આવતી હતી.સામાજિક જીવનમાંથી ખતમ કરવાની ધમકી આપવામાં આવતી હતી,એમ ડેલકરે સુસાઈડ નોટમાં લખ્યું છે,એવી માહિતી દેશમુખે સભાગૃહમાં આપી હતી.
પટેલ અગાઉ ગુજરાતમાં ભાજપ સરકારમાં અગાઉ ગૃહમંત્રી હતા. તે સમયે કદાચ નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા. પટેલની પ્રશાસક તરીકે નિમણૂક થઈ હતી.ડેલકરે સુસાઈડ નોટમાં એમ જણાવ્યું છે કે હું મુંબઈ આવીને આત્મહત્યા કરી રહ્યો છું, મને ત્રાસ ત્યાં (દાનહ) આપવામાં આવ્યો હોવા છતાં હું અહીં આત્મહત્યા કરી રહ્યો છું, કારણ કે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર સરકાર પર મારો વિશ્વાસ છે.મને ન્યાય મહારાષ્ટ્રમાં જ મળશે.તેમનાં પત્ની કલાબેન અને પુત્ર અભિનવે પણ પત્ર આપ્યો છે.એમ દેશમુખે જણાવ્યું હતું. શિવસેનાના વિધાનસભ્ય અનિલ પરબે મનસુખ પ્રકરણની તપાસ તો થવી જ જોઈએ, પરંતુ આ જ નિયમ હેઠળ ડેલકર પ્રકરણની પણ તપાસ થવી જોઈએ એવી માગણી કરું છું,એમ વિધાનસભામાં જણાવ્યું હતું,
છત્તીસગઢના અધિકારીની આત્મહત્યાની પણ તપાસ
આ સાથે નાગપુરમાં છત્તીસગઢના આઈએએસ અધિકારી રાજેશ કુમાર શ્રીવાસ્તવે આત્મહત્યા કરી છે.તેમનો પણ તે જ ઉદ્દેશ હોઈ શકે છે.રાજેશ શ્રીવાસ્તવ અધિકારી છે.તેમને જાણ હતી કે ભાજપ સરકાર પાસેથી ન્યાય મળશે નહીં.આથી આ પ્રકરણની પણ તપાસ કરાશે, એમ દેશમુખે જણાવ્યું હતું.