– અરવિંદ કેજરીવાલ 14 ગાડીના કાફલા સાથે સર્કિટ હાઉસ પહોંચ્યા.
– કેજરીવાલના સ્વાગતમાં કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા.
– મહેસાણાથી કેજરીવાલને મળવા યુવાઓ અમદાવાદ આવ્યા.
અમદાવાદ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક દિવસની અમદાવાદની મુલાકાતે છે.ત્યારે આજે અરવિંદ કેજરીવાલ એરપોર્ટથી સીધા શાહીબાગ સર્કિટ હાઉસ પહોંચી ગયા છે.આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે ઓળખતા કેજરીવાલ આજે અન્ય નેતાઓની જેમ જ 14 ગાડીના કાફલા સાથે અમદાવાદ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.આ દરમિયાન તેઓ માસ્કમાં જોવા મળ્યા પરંતુ આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા માસ્ક વિના જોવા મળ્યા હતા.જ્યારે મહેસાણાથી કેટલાક પાટીદાર યુવા પ્રશંસકો કેજરીવાલને મળવા માટે અમદાવાદ પહોંચ્યા હતા.
એરપોર્ટ પર સીએમ કેજરીવાલ ના યુવા ફેન પ્રણવ પટેલ એ એક ખાનગી અખબાર સાથેની સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું તેમનો ફેન છું તેઓનું દિલ્હીમાં કામ જોઈને હું આકર્ષિત થયો છું.તેઓ એ કોરોના મહામારી અને હેલ્થ સેકટરમાં કરેલા કામને આખો દેશ બિરદાવે છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આટલો સારો પ્રતિસાદ મળતા તેઓ હવે ગુજરાત તરફ વળ્યાં છે અને અહીંયાના શિક્ષિત યુવાનો પણ રાજ્યમાં બદલાવ ઈચ્છે છે સાથે કેજરીવાલજીના સમર્થકોમાં મોટાભાગે ડોક્ટર,વકીલો, અને અન્ય શિક્ષિત વર્ગ હોય છે એટલે હવે સમજદાર લોકો શ્રેષ્ઠ સરકાર બનાવવા માંગે છે અને મને આશા છે કે વિધાનસભાની ચૂંટણીમાં તેઓને ગુજરાતમાં સારો પ્રતિસાદ મળશે.આજે પણ તેમની આ મુલાકાત મહત્વની સાબીત થશે.
મહેસાણાના વિસનગરથી આવેલા યુવાન પરાગ પટેલએ વાતચીતમાં જણાવ્યું કે, અમને ખબર પડી કે દિલ્હીના સીએમ અમદાવાદ આવવાના છે એટલે અમે નક્કી કર્યું કે તેમની મુલાકાત અથવા તો તેમને એક ઝલક મેળવવા પણ અમે જઈશું.સાથે અમે આજે એરપોર્ટ પર તેમને જોયા તો તેઓની સાદાઈ જોઈને અમને આનંદ થયો.તેઓએ કરેલા કામથી યુવા વર્ગ ઘણો પ્રેરિત થયો છે અને આવનારી વિધાનસભાની ચુંટણીમાં તેઓ સારી બહુમતીથી જીતે તેવી અમારી પ્રાથના છે ગુજરાતનો યુવા વર્ગ હવે બદલાવ ઈચ્છે છે જેથી અન્ય યુવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાશે.અમે માત્ર અહીંયા જ તેમને જોયા હવે અમે પાછા ફરીશું.
જેમાં 3 પોલીસની ગાડી અને એક સરકારી ગાડી એમ કુલ 4 સરકારી ગાડી તથા કેજરીવાલ અને ગોપાલ ઇટાલિયા જે ગાડીમાં આવ્યા તે લક્ઝુરિયસ ફોર્ચ્યુનર ગાડી અને અન્ય 10 ખાનગી ગાડીઓ સાથે આવી હતી.જે દરમિયાન આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું માસ્ક નીચે ઉતરેલું જોવા મળ્યું હતું.સર્કિટ હાઉસમાં અનેક કાર્યકર્તાઓ કેજરીવાલના સ્વાગત માટે આવ્યા હતા.કેજરીવાલ આવતા જ કાર્યકરો સ્વાગત માટે ઉમટી પડ્યા હતા અને સ્વાગત કરવા જતાં કાર્યકરો કોરોના અને સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા હતા.કાર્યકરોએ ઉત્સાહમાં કેજરીવાલનું સ્વાગત કર્યું પરંતુ મોટી સંખ્યામાં ટોળાના સ્વરૂપે પણ ભેગા થયા હતા જે હાલની પરિસ્થિતિમાં હિતાવહ નથી.સ્વાગત બાદ સર્કિટ હાઉસમાં કાર્યકરોએ સાથે મળીને ફોટો શેસન પણ કરાવ્યું હતું. પરંતુ તેમાં પણ તમામ લોકો નિયમો નેવે મૂકીને ફોટા પડાવતા નજરે પડ્યા હતા.તમામ લોકો એકબીજથી અંતર જાળવ્યા વિના જ ફોટા પડાવી રહ્યા હતા.