સુરત : નર્મદ યુનિવર્સિટીની પીએચ.ડીની પરીક્ષામાં સરેઆમ યુજીસીની ગાઇડ લાઇનનો ભંગ થતો હોવાનું ભોપાળુ બહાર આવ્યુ છે.કેટલીક ફેકલ્ટીમાં એક પણ બેઠકો ખાલી નહીં હોવા છતા પરીક્ષાઓ પર પરીક્ષા લેવાઇ રહી છે.ને બીજી બાજુ જે વિદ્યાર્થી કવોલીફાઇડ થયો હોઇ તેને પ્રવેશ મળ્યો ના હોવાથી તે પણ પરીક્ષા પર પરીક્ષા આપીને ફી ભરીને રીતસરના લૂંટાઇ રહ્યા છે.જેથી પહેલા બેઠકો જાહેર કરો, પછી પરીક્ષા લોની માંગ ઉઠી છે.
નર્મદ યુનિવર્સિટીના સતાધીશો વધુને વધુ વિદ્યાર્થીઓ પીએચ.ડી કરી શકે તે માટે ઉપરાછાપરી પરીક્ષા લઇ રહી છે.હાલમાં પણ પ્રવેશ પ્રકિયા માટે ઓનલાઇન ફોર્મ ભરાઇ રહ્યા છે.અને તારીખો પર તારીખો લંબાવાઇ રહી છે.આ પરીક્ષાને લઇને સેનેટ સભ્ય ભાવેશ રબારીએ કુલપતિને રજુઆત કરી છે યુજીસીના નિયમ મુજબ પીએચ.ડીમાં પ્રવેશ માટે કેટેગરી મુજબ કેટલી બેઠકો ખાલી છે.તેનું પહેલા લિસ્ટ જાહેર કરવામાં આવે.
અને કઇ ફેકલ્ટીમાં કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે તેની પણ યાદી જાહેર કર્યા પછી જ પીએચ.ડીની એન્ટરન્સ ટેસ્ટ લેવાની હોય છે.પરંતુ નર્મદ યુનિવર્સિટીમાં તો ઉપરાછાપરી પરીક્ષાઓ લેવાઇ રહી છે.અને પરીક્ષામાં કવોલીફાઇડ થયા બાદ જે તે ફેકલ્ટીમાં બેઠકો ખાલી જ નહીં હોવાથી વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નથી.વિદ્યાર્થી પ્રવેશ માટે ફાંફા મારતા હોય ત્યાં તો યુનિવર્સિટી દ્વારા ફરીથી પીએચ.ડીની એન્ટરન્સ ટેસ્ટની જાહેરાત કરી દેવામાં આવે છે.આથી જે વિદ્યાર્થી ભલે એન્ટરન્સ પાસ કરીને પ્રવેશ માટે કવોલીફાઇડ થયો હોય.પરંતુ ફરીથી પરીક્ષાની જાહેરાતમાં વધુ માર્કસ લાવીને આગળ રેન્ક મેળવવાની આશાએ ફરીથી પ્રવેશ પરીક્ષા આપે છે.એકવાર વિદ્યાર્થી પાસ થયા પછી પણ વાઇવા લેવામાં આવતો નથી.કારણ કે સીટો ખાલી જ હોતી નથી.આથી પીએચ.ડીમાં કયા વિષયમાં કેટલી બેઠકો કઇ કેટેગરીમાં ખાલી છે.તે અગાઉથી જ નક્કી કર્યા બાદ જ પ્રવેશ માટે એન્ટરન્સ એકઝામ યોજાવી જોઇએ,તેવી યુજીસીની સ્પષ્ટ ગાઇડ લાઇનનો હોઇ તેનો ભંગ થતો હોવાથી નિયમ મુજબ પ્રકિયા હાથ ધરવા માંગ કરી છે.