સુરત શહેરના આધેડ સાથે ઉત્તર પ્રદેશના અયોધ્યાની સંસ્થાના નામે ગઠિયાએ ઓન લાઈન 32.40 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર પીપલોદમાં લેકવ્યુ ગાર્ડન પાસે પ્રગતિનગરમાં રહેતા 53 વર્ષિય બ્રજકિશોર બ્રહ્માનંદ દાસને 2018માં દિપક શાસ્ત્રી નામના યુવકે ફોન કરી પોતાની ઓળખ ગુરૂકુળ જ્યોતિષ અને વૈદીક નારાયણ જ્યોતિષ સંસ્થાન( અયોધ્યા,ઉત્તર પ્રદેશ)ના મેનેજર તરીકે આપી હતી.
ગઠિયાએ બ્રજકિશોરને કહ્યું કે સંસ્થા વગર વ્યાજે 50 લાખ રૂપિયાની લોન આપે છે.આ લોન લેવા માટે 15 લાખ રૂપિયા સંસ્થામાં ડિપોઝિટ પેટે જમા કરાવવા પડશે.ગઠિયાએ વધુમાં તેમને કહ્યું કે જ્યારે લોન મળશે ત્યારે ડિપોઝિટની રકમ પરત મળી જશે. બ્રજમોહનને દિકરાઓના અભ્યાસ માટે અને કેમિકલનો નવો ધંધો શરૂ કરવાનો હોવાથી રૂપિયાની જરૂરત હતી.તેથી તેમણે જરૂરી ડોક્યુમેન્ટ ઉપરાંત થોડા-થોડા કરીને ઓન લાઈન 15 લાખ રૂપિયા જમા કરાવી દીધાં હતા.
બ્રજકિશોરે ફાઈલ ચાર્જના 1.30 લાખ રૂપિયા આપ્યા હતા.ગઠિયાએ લોનનું કામ ઝડપી કરવું હોય તો બ્રાંચ મેનેજરને 5 ટકા કમિશન આપવું પડશે કહીને વધુ રૂપિયા લીધા હતા. ત્યાર બાદ અલગ-અલગ વ્યક્તિઓ બ્રજકિશોર સાથે વાતો કરતા હતા.ત્યાર બાદ પણ અલગ-અલગ બહાને બ્રજકિશોર પાસેથી રૂપિયા માંગ્યા હતા.
કુલ 21.30 લાખ રૂપિયા આપી દીધા હતા.ત્યાર બાદ 18 ટકા જીએસટી ભરવા પડશે કહીને વધુ રકમ માંગી હતી.11.10 લાખ રૂપિયા ભર્યા હતા.કુલ 32.40 લાખ રૂપિયા ગઠિયાને આપી દીધા હતા.પછી બ્રજકિશોરને ખ્યાલ આવી ગયો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.તેથી ગઠિયાના વિરુદ્ધ ગુનો દાખલ કરવા પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ આપી હતી.પોલીસ તપાસ કરતી હતી તે દરમિયાન પણ ગઠિયો બ્રજકિશોરને ફોન કરીને વધુ રૂપિયા માંગતો હતો.આ બાબતે રવિવારે સાંજે સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.