નવી દિલ્હી,તા.1 મે 2022 : બંગાળના પુરુલિયા, ઝાડગ્રામ, પશ્ચિમ મિદનાપુર જેવા જિલ્લાઓમાં માઓવાદી ફરી સક્રિય થઈ રહ્યા હોવાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે અને તેના પગલે રાજ્યની રાજકીય પાર્ટીઓ વચ્ચે શાબ્દિક જંગ પણ શરુ થઈ ગયો છે.ઉપરોક્ત વિસ્તારો એક સમયે માઓવાદીઓના ગઢ મનાતા હતા.તાજેતરમાં આ વિસ્તારોમાં ફરી પોસ્ટરો લાગેલા દેખાઈ રહ્યા છે.કેન્દ્ર સરકારે બે વખત બંગાળ સરકારને માઓવાદીઓની હિલચાલ અંગે ચેતવણી આપી હતી.એ પછી પોલીસે પુરુલિયા, ઝાડગ્રામ, પશ્ચિમ મિદનાપુર જેવા જિલ્લાઓમાં પેટ્રોલિંગ વધારી દીધુ છે.
પોલીસના એક વરિષ્ઠ અધિકારીનુ કહેવુ હતુ કે, સુરક્ષાદળોને એલર્ટ પર રખાયા છે.સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.આ પહેલા મુખ્યમંત્રી મમતા બેનરજીએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપના કાર્યકરોએ જ આ પોસ્ટરો લગાવ્યા હતા અને કેટલી ન્યૂઝ ચેનલોએ બીનજરુરી રીતે આ મામલાને વધારે ચગાવ્યો છે.તેમણે કહ્યુ હતુ કે, ઝારખંડમાંથી પાંચ માઓવાદીઓ બંગાળમાં ઘૂસી આવ્યા હતા.જ્યારે સ્થાનિક ટીએમસી નેતા અજિત માઈતીનુ કહેવુ છે કે, વિરોધી પાર્ટીઓ ભયનો માહોલ બનાવવાની કોશિશ કરી રહી છે.જંગલ મહલ વિસ્તારમાં માઓવાદીઓને પ્રોત્સાહન મળી શકે તેમ નથી.કારણકે આ વિસ્તારનો વિકાસ થયો હોવાથી માઓવાદીઓ લોકોને ભડકાવી શકે તેમ નથી.
જયારે ભાજપના નેતા અને પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદારે કહ્યુ હતુ કે, છત્રઘર મહતો કોણ છે અને તે કઈ પાર્ટીમાં છે તે બધા જાણે છે.તેમની સામે યુએપીએ હેઠળ કેસ ચાલી રહ્યો છે.લાંબા સમય સુધી તે જેલમાં બંધ હતો અને હવે ટીએમસીની પ્રદેશ કમિટિમાં છે.2011 પહેલા માઆવોદીઓ સાથે જંગલમહલ વિસ્તારમાં કયા નેતાઓની ઉઠક બેઠક હતી તે બધાને ખબર છે.અમારી સરકાર તો દેશમાં માઓવાદીઓ સામે અભિયાન ચલાવી રહી છે.

