– અયોધ્યામાં મહંત સત્યેન્દ્ર દાસે બાબરી કેસના પક્ષકાર ઈકબાલ અન્સારીને ગળે મળી ઈદની શુભેચ્છા પાઠવી
મુઝફ્ફરનગર, તા.૩ : દેશમાં ધાર્મિક તહેવારોમાં બે સમાજો વચ્ચેની અથડામણોથી વાતાવરણ તંગદિલીભર્યું બન્યું છે ત્યારે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ભાજપ નેતા મોહમ્મદ સમર ગઝનીએ ભગવા કપડાંમાં ઈદગાહમાં નમાઝ પઢી હતી જ્યારે અયોધ્યામાં મહંત સત્યેન્દ્ર દાસ બાબરી કેસના પક્ષકાર ઈકબાલ અન્સારીને ગળે મળ્યા હતા.
ઉત્તર પ્રદેશના મુઝ્ફરનગરમાં મંગળવારે ભાજપના લઘુમતી મોરચાના ભૂતપૂર્વ પ્રદેશ મંત્રી ડૉક્ટર મોહમ્મદ સમર ગઝનીએ ભગવા કપડાં અને ગળામાં ભાજપનો ખેસ પહેરી નમાઝીઓ વચ્ચે બેસી ઈદગાહમાં નમાઝ પઢી હતી.ભગવા વસ્ત્રો પહેરવા અંગે ગઝનીએ કહ્યું કે, આજે યોગીજીના રાજમાં પ્રેમનું વાતાવરણ છે,યોગીજીએ આખા રાજ્યને ભગવામય કરી દીધો છે.ભગવા રંગ પ્રેમનું પ્રતિક છે તેથી તેના મારફત અમે યોગીજીના રાજમાં રમખાણોમુક્ત પ્રદેશ બનાવવાનો સંદેશ આપવા માગીએ છીએ.
બીજીબાજુ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ઈદ અને અક્ષય તૃતિયાના પ્રસંગે ધાર્મિક સૌહાર્દ જાળવી રાખતા એકબાજુ મુસ્લિમ સમાજના લોકોએ મસ્જિદો અને ઈદગાહમાં ઈદની નમાજ પઢી હતી તો બીજીબાજુ અક્ષય તૃતિયા જેવા મહત્વપૂર્ણ દિવસે લાખો શ્રદ્ધાળુઓએ મંદિરોમાં દર્શન અને પૂજા કર્યા હતા.આ દરમિયાન શ્રીરામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસે બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીના ઘરે પહોંચીને તેમને ગળે મળી ઈદની શુભેચ્છા પાઠવી હતી.ઈકબાલ અંસારીએ પણ સત્યેન્દ્ર દાસને માળા પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.

