– પાટડી તાલુકાના સવલાસ ગામમાં 100 વર્ષથી ચાલતી ઉજવણી
– બગીચામાં વિસામો લેતા હજયાત્રીઓને સૈનિકોથી બચાવવા હિંદુ-મુસ્લિમ સેવકો શહીદ થયા ત્યારથી મજાર પર કોમી એખલાસનું વાતાવરણ સર્જાય છે
અમદાવાદ : આમ જુઓ તો ભારત વૈવિધ્યતાથી ભરેલો દેશ છે.અનેક ધર્મો,અસંખ્ય ભાષાઓ અને બોલીઓથી ધબકતા આ દેશમાં ભલે કોમ-કોમ વચ્ચે વેરની ચિંગારીઓ ભડકતી હોય છતાં ક્યાંક કોઇક ખૂણે માનવતા અને સર્વધર્મ સમભાવની જ્યોત સતત ઝળહળતી હોય છે.આ વાતનો તાદ્રશ્ય પુરાવો જોઇતો હોય એણે પાટડી તાલુકાના ખોબા જેવડા સવલાસ ગામની મુલાકાત અચૂક લેવી પડે.હિંદુ-મુસ્લિમ પરિવારોથી વસેલું આ ગામ કોમી એકતાનું ઉદ્દાત ઉદાહરણ પુરું પાડે છે.જાણીને કદાચ આશ્ચર્ય થાય પણ હકીકત એ છે કે, આ ગામના તળાવના કિનારે આવેલી જૈનુદ્દીન અને રૂકનુદ્દીન બાવાની મજાર પર છેલ્લી એક સદીથી હિંદુ ભજનો ગાવા-સાંભળવાની અતૂટ પરંપરા જળવાઈ રહી છે.ગામના પૂર્વ સરપંચ માલાજી મલેક કહે છે કે, અષાઢ વદ અમાસની રાત્રે મજાર પર સંતવાણી યોજાય છે.આખી રાત દાસી-જીવણ,ગંગાસતી,સવારામ સાહેબ વગેરે સંતોની વાણી અને ભજનો સંભળાવાય છે.
ગુજરાતમાં સંભવતઃ આ એક જ સ્થળ એવું છે જ્યાં મુસ્લિમ ભજનિક ભાવથી નરસિંહ મહેતાનું પ્રભાતિયું ગાય છે ને હિંદુ-મુસ્લિમ તન્મય થઇને સાંભળે છે.આ મજારના મુજાવર હકીમ શા કહે છે કે, વર્ષો પહેલાં આ સ્થળે બગીચો હતો અને આ સ્થળે મક્કા હજ કરીને આવતો એક કાફલો રોકાયો હતો,પણ હાજયાત્રીઓના કાફલામાં સામેલ ઊંટોએ બગીચાને નુકસાન કર્યું જેથી બગીચાના માળીએ પાટડીના રાજાને ફરિયાદ કરી. રાજાએ દુધાજી અને હમીરજીને તપાસ કરવા મોકલ્યા તો ખબર પડી કે હજયાત્રીઓનો કોઇ વાંક નહોતો.
દરમ્યાન આ વિવાદની જાણ થતાં કોઇએ ચડવણી કરતા કેટલાક સૈનિકો ધસી આવ્યાને ધીંગાણું થઇ જતા તપાસ કરવા ગયેલા દુધાજી અને હમીરજી હજયાત્રીઓને બચાવવા જતાં શહીદ થઇ ગયા.બસ ત્યારથી આ મજારનું માન હિંદુ-મુસ્લિમ લોકો જાળવે છે.ગામ નાનું છે.સુકી ખેતી અને સાદું જીવન જીવતા આ ગામના લોકો માટે કોમી એકતા શબ્દની જરૂર નથી.અષાઢ વદ અમાસની રાત્રે કોઇ મુસ્લિમના કંઠે રેલાતાં રામ-કૃષ્ણના ભજનો અને હિંદુના હાથે રણકતો મંજીરાનો અવાજ જ કોમી એકતાનો પુરાવો છે.
આજે પણ આ ગામમાં ફુલ-છોડનું વાવેતર નથી થતું
નિર્દોષ હજયાત્રીઓને બચાવવા દુધાજી અને હમીરજી સાથે જૈનુદ્દીન અને રૂકનુદ્દીન તથા કેટલાક સાથીો શહીદ થયેલા. બગીચામાં જ લડતા લડતા ઢળી પડેલા આ શહીદોની લાશો પડી એટલે આ ગામનું નામ ‘સબલાશ’ પડેલં પણ ધીમે ધીમે અપભ્રંશ થતા સવલાસ કહેવાયું.એટલું જ નહીં જે ફુલ-છોડ માટે કજિયો થયો ને લાશો પડી એનો માતમ મનાવવા આ ગામના આજે પણ ફુલ-છોડનું વાવેતર કરવામાં નથી આવતું.
આ ગામે ગુજરાતને શ્રેષ્ઠ ભજનિકો આપ્યા
સવલાસ ગામનું એક મોટું પ્રદાન પણ છે જે કોઇને યાદ નથી.ગામની મજારે ગુજરાતને શ્રેષ્ઠ ભજનિકો આપ્યા છે.પંડિત જસરાજ સાથે હાર્મોનિયમ પર સંગત કરનાર બચુભાઈ સાહેબ ખાન,દાદુભાઈ કાજી,માલાજી હેદા જેવા ભજનિકો આ જ ગામના હતા.