અમદાવાદ : ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરાજ રાજને કહ્યું હતું કે દુનિયાભરની કેન્દ્રીય બેન્કો મોંઘવારી પર અંકુશ મેળવવા માટે વ્યાજ દર વધારવાના પ્રયાસો કરી રહી છે.રઘુરામ રાજને કહ્યું હતું કે, કેન્દ્રીય બેન્કો સામે અજિબ સ્થિતિ ઉત્પન્ન થઈ છે.છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રીય બેન્કોની ઈમેજ જાહેર જનતાની નજરમાં બગડી છે.
થોડા દિવસો અગાઉ કેન્દ્રીય બેન્ક લોકોની નજરમાં હીરો તરીકેનું સ્થાન ધરાવતી હતી.નાણાકીય નીતિઓમાં છૂટ આપીને દુનિયાની ઈકોનોમી ગ્રોથને ઝડપથી વધારવામાં મદદગાર સાબિત થઈ રહી હતી.જોકે હવે મોંઘવારી ડામવા માટે કેન્દ્રીયો બેન્કો વ્યાજદર વધારાનું શસ્ત્ર ઉગામતાં જ વિલનની ભૂમિકામાં આવી ગઈ છે.
ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું કે, અમેરિકા સહિત દુનિયાભરની અનેક કેન્દ્રીય બેન્કો મોંઘવારીનો ચોક્કસ અંદાજ લગાવવામાં નિષ્ફળ રહી છે.હવે જ્યારે મોંઘવારી ચાર દાયકાની ટોચે પહોંચી ગઈ છે ત્યારે તેમની પાસે વ્યાજદરમાં વધારો કરવાના આક્રમક વૃદ્ધિ કરવા સિવાયનો અન્ય કોઈ વિકલ્પ નથી.રઘુરામ રાજને કહ્યું હતું કે, જો કેન્દ્રીય બેન્કો માત્ર મોંઘવારીને ડામવા માટેનું ફોકસ રાખે તો તેના ઘણા સારા પરિણામ મળી શકે છે.તેમનું એવું કહેવું છે કે, કેન્દ્રીય બેન્કોને એ પ્રકારની સ્વતંત્રતા પ્રદાન કરવી જોઈએ કે જેથી કરીને તે મોંઘવારી ઘટાડવા માટે પોતાની જરૂરિયાત મૂજબ કામગીરી કરી શકે.
રઘુરામ રાજને કહ્યું હતું કે દુનિયાભરની કેન્દ્રીય બેન્કો મોંઘવારી ડામવા માટે વ્યાજદરમાં વધારાના જે આક્રમક પગલાં ભરી રહી છે તે બદલ તેમને ભારે આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે.વિશ્વભરના નેતાઓને પણ એવું લાગી રહ્યું છે કે કેન્દ્રીય બેન્કો વ્યાજદર વધારીને તેમના કામમાં દરમિયાનગીરી કરી રહી છે જે વાત યોગ્ય નથી.
વર્ષ 2020માં કોરોના વાયરસ સંકટ અને તેને કારણે દુનિયાભરની ઈકોનોમી પર વિપરિત અસર પડી હતી.વિશ્વભરના દેશોની રાજકોષીય સ્થિતિ પણ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ હતી અને જીડીપીમાં ખુબ જ ઘટાડો નોંધાયો હતો.આ કારણથી કેન્દ્રીય બેન્ક તે સમયે દેશની ઈકોનોમીને સુધારવા માટે મદદ કરી રહી હતી.હવે જ્યારે કોરોના સંકટના દોરમાં રાહત પેકેજને કારણે દુનિયાભરમાં મોંઘવારી વધી રહી છે.આ સ્થિતિમાં બેન્કોને પોતાની રીતે આ મોંઘવારી પર કાબૂ કરવાની કોશિશ કરવા દેવામાં જ સમજદારી છે.