– કલેકટર સંદીપકુમાર સિંહે મુંબઈ પોલીસે નોંધાવેલી એફઆઈઆરને પડકારી છે
મુંબઈ/વાપી : દાનહના સાંસદ ડેલકર આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસની એફઆઈઆર સામે સેલવાસ કલેકટર સંદીપકુમાર સિંહે મુંબઈ હાઈ કોર્ટમાં પડકાર ફેંકતી અરજી દાખલ કરી છે,જેની સુનાવણી 9મી એપ્રિલે રાખીને જસ્ટિસ એસ.એસ શિંદે અને જસ્ટિસ મનીષ પિતળેની ખંડપીઠે સિંહ સામે ધરપકડની કાર્યવાહીથી વચગાળાની રાહત આપી છે.22 ફેબ્રુઆરીના રોજ મુંબઇના મરીન ડ્રાઈવ સ્થિત હોટેલમાં સાંસદ ડેલકરે ગળે ફાંસો ખાધો હતો.જેમાં વહીવટકર્તાઓની સતામણીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું જણાવાયું હતું.
આ પછી મુંબઈ પોલીસે પુત્ર અભિનવની ફરિયાદ પરથી પ્રશાસક અને સેલવાસ કલેકટર સંદીપકુમાર સિંહ સહિત 9 આરોપી સામે એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા અંગે એફઆઈઆર દાખલ કરી હતી.સિંહ વતી ગુરુવારે વરિષ્ઠ ધારાશાસ્ત્રી અમિત દેસાઈ અને એડવોકેટ સન્ની ભિમરા દ્વારા એફઆઈઆર પાયાવિહોણી,કાયદાની જોગવાઈથી વિપરીત હોવાની દલીલ કરી હતી.સિંહે અરજીમાં જણાવ્યું છે કે, ડેલકર જેના ચેરમેન હતા તે (એસએસઆર) મેમોરિયલ ટ્રસ્ટ સંબંધમાં જ પગલાં લીધાં છે.ટ્રસ્ટ દ્વારા અમુક સરકારી જમીનો પર અતિક્રમણ કરવામાં આવ્યું છે એવો પીએમઓ તરફથી પત્ર પ્રાપ્ત થતાં આ પગલાં લીધાં હતાં અને તેથી તુરંત તપાસ હાથ ધરી હતી.
આ સાથે 20 માર્ચે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલો પત્ર પણ અરજી સાથે જોડવામાં આવ્યો છે,જેમાં પરમવીરે જણાવ્યું છે કે કાનૂની અભિપ્રાય હોવા છતાં ગૃહમંત્રીની સુસાઈડ નોટ પરથી એફઆઈઆર દાખલ કરવા માટે આગ્રહ કરતા હતા.
કલેકટર સંદીપકુમારે અરજીમાં એમ પણ જણાવ્યું કે,પોતે સરકારી નોકર છે અને જો આ ગુનામાં ધરપકડ કરવામાં આવે તો એવી હાનિ થઈ શકે જે નાણાંથી ભરપાઈ નહીં થઈ શકે.એફઆઈઆરમાં દાખલ કરવામાં આવેલા આરોપો હવેલીના વહીવટદાર કાર્યાલય પાસે ઉપલબ્ધ દસ્તાવેજોને આધારે સમજાવી શકાય એમ છે.આથી કસ્ટડીમાં પૂછપરછની આવશ્યકતા નથી.


