યુવરાજનો ધડાકો : ચેપલની સામે સચિનનો સાથ આપ્યો એટલે મારા બદલે ધોનીને કેપ્ટન બનાવાયો

HM News
3 Min Read

નવી દિલ્હી, તા.૯ : ભારતના ધુરંધર ઓલરાઉન્ડર યુવરાજ સિંઘે ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું છે કે, ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપમાં મને જ ભારતીય ટીમનો કેપ્ટન બનાવવાનો હતો. જોકે તે સમયે કોચ ગ્રેગ ચેપલ અને દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર વચ્ચે સીધો ટકરાવ ચાલી રહ્યો હતો.તે સમયે મેં સચિન તેંડુલકરની તરફેણ કરી હતી.જેનાથી ચેપલની સાથે બીસીસીઆઇના કેટલાક ઓફિશિઅલ્સ પણ નારાજ થયા હતા.આખરે તેમણે નક્કી કર્યું કે, ગમે તેને કેપ્ટન બનાવો પણ યુવરાજને નહીં.જેના કારણે મારા બદલે ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

ભારતીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયન કોચ ગ્રેગ ચેપલનો કાર્યકાળ વિવાદોથી ભરપૂર રહ્યો હતો.ગાંગુલીની હકાલપટ્ટી થી માંડીને તેંડુલકર સાથેના ટકરાવને કારણે ગ્રેગ ચેપલ વિવાદોમાં રહ્યા હતા. તેમણે ભારતીય ટીમમાં ભાગલા પાડી દીધા હોવાનો પણ આક્ષેપ થતો રહ્યો છે.જે અંગે યુવરાજે વધુ પ્રકાશ ફેંક્યો છે.ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર સાથેની એક મુલાકાતમાં યુવરાજે તે વિવાદિત કાર્યકાળ અંગે કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા હતા.

યુવરાજે કહ્યું કે, ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપમાં તેઓ મને જ કેપ્ટન બનાવવા હતા.ત્યારે જ ગ્રેગ ચેપલનો વિવાદ સર્જાયો. ત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી કે, ખેલાડીઓએ ચેપલ કે સચિનમાંથી કોઈ એકને પસંદ કરવાના હતા.તે સમયે ટીમમાં હું સંભવતઃ એકમાત્ર ખેલાડી હતો કે, જેણે સચિન તેંડુલકરને સાથ આપ્યો હતો. મારા આ નિર્ણયથી ઘણા લોકો ખુશ નહતા.જેમાં કેટલાક બીસીસીઆઇના ઓફિશિઅલ્સ પણ સામેલ હતા.મેં તેંડુલકરનો સાથ આપ્યો ત્યાર બાદ બધાનું વલણ એવું જ હતુ કે, ગમે તેને કેપ્ટન બનાવો પણ યુવરાજને નહીં. આવું મેં કાનોકાન સાંભળ્યું હતુ.

તેણે ઊમેર્યું કે, હું નથી જાણતો કે તેમાં કેટલું તથ્ય છે.જોકે એ હકીકત છે કે, મને ત્યાર બાદ અચાનક જ કોઈ કારણ આપ્યા વિના જ વાઈસ કેપ્ટન તરીકે દૂર કરાયો હતો. સેહવાગ ટીમમાં નહતો એટલે લાગતું હતુ કે, તેઓ મને કેપ્ટન બનાવશે, પણ ત્યારે માહી (ધોની)ને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.સેહવાગ અંગે તેણે કહ્યું કે, વિરુ ટીમના સિનિયર ખેલાડી હતા, પણ ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટીમમાં નહતા.ત્યારે વન ડે ટીમમાં રાહુલ કેપ્ટન હતો અને હું વાઈસ કેપ્ટન હતો એટલે ટી-૨૦ વર્લ્ડ કપ માટેની ટીમનો કેપ્ટન બનવા માટે હું જ દાવેદાર હતો.સ્વાભાવિક રીતે જ તે નિર્ણય મારી વિરુદ્ધમાં ગયો તેનો મને રંજ નથી.આજે પણ કોઈ આવો મુદ્દો ઉભો થાય તો હું મારા સાથી ખેલાડીની તરફેણ કરીશ.ધોની અને યુવરાજ વચ્ચેના આંતરિક ટકરાવ અને સ્પર્ધાની ચર્ચા મીડિયામાં થતી રહી છે.જોકે યુવરાજના આ નવા ખુલાસાએ ઘણા સવાલ ઉભા કર્યા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *