– પરીક્ષણ વખતે ટ્રેનમાં રેલમંત્રી અશ્વિન વૈષ્ણવ સવાર હતા
જો બે ટ્રેનો સામ-સામે આવી જશે તો કવચ ટેકનિક આપમેળે ગાડીની સ્પીડ ઘટાડીને મોટી દુર્ઘટના ટાળશે
રેલવે મંત્રાલયે એક અનોખી ટેકનિક વિકસાવી છે.’કવચ’ નામની આ ટેકનિક ટ્રેન દુર્ઘટનાઓ રોકવામાં ખૂબ જ ઉપયોગી થશે.જો બે ટ્રેન પાયલટની ભૂલથી કે અન્ય કોઈ કારણથી સામ-સામે આવી જશે તો આ ટેકનિકથી ટ્રેનની સ્પીડ ઘટી જશે અને ગાડી દુર્ઘટના પહેલાં જ રોકાઈ જશે.
ઈન્ડિયન રેલવેએ રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવની હાજરીમાં આ ટેકનિકનું સફળ પરીક્ષણ કર્યું હતું.રેલવેએ કરેલા પરીક્ષણ દરમિયાન એક ટ્રેનમાં રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ સવાર હતા.બીજી ટ્રેનમાં રેલવે બોર્ડના ચેરમેન સહિતના અધિકારીઓ સવાર થયા હતા.બંને ટ્રેન આ ટેકનિકથી સજ્જ હતી.જે ટ્રેનમાં રેલવે મંત્રી સવાર હતા એ ટ્રેન સામેથી આવી રહેલી ટ્રેનથી ૩૮૦ મીટરના અંતરે આપમેળે રોકાઈ ગઈ હતી.
કવચ ટેકનિકના પરીક્ષણનો વીડિયો રેલવે મંત્રીએ ટ્વીટ કર્યો હતો.વીડિયોમાં અધિકારી રેલવે મંત્રીને આખી ટેકનિક સમજાવી રહ્યા છે.ડ્રાઈવર ભૂલ કરે છે છતાં આગળ જઈને એ જ ટ્રેક ઉપર બીજી ટ્રેન આવતી હોવાથી ટ્રેન રોકાઈ ગઈ હતી.પરીક્ષણ એકદમ સફળ રહ્યું હતું.એ પછી રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે પીઠ થપથપાવીને એન્જિનિયરને શાબાશી આપી હતી.
રેલવે વિભાગે કહ્યું હતું કે કવચ ટેકનિક આગામી દિવસોમાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે.આ ટેકનિકથી ટ્રેનની ઓવરસ્પીડ પણ નિયંત્રિત થશે.હ્મુમન એરરથી બચવા માટે આ ટેકનોલોજી ટ્રેનમાં ઉપયોગમાં લેવાશે.