અમદાવાદ : લદાખમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ ફરવા આવે છે ત્યારે હવે લદાખમાં આવતા પ્રવાસીઓના સ્વાસ્થ્યની સલામતી માટે ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવશે.જેમાં વિમાનથી લેહ આવતા પ્રવાસીઓ માટે 48 કલાક સ્ટે કરવાનો રહેશે ત્યારબાદ જ પ્રવાસી આગળ પ્રવાસ કરી શકશે.આ ઉપરાંત ટૂંક સમયમાં લદાખ ડેવલપમેન્ટ ઓથોરિટી ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા લેહ સહિતના સ્થળે કઈ કઈ હોટલમાં રૂમો ખાલી છે અને ટેક્સી સર્વિસ સહિતની તમામ માહિતી મળી શકશે.
લદાખ યુનિ.માં ગુજરાત સેન્ટરના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા લદાખના ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર તાશી ગ્યાલસોંગે જણાવ્યું કે લદાખમાં ફરવા આવતા પ્રવાસીઓને ભૌગોલિક પરિસ્થિતિ વિશે પૂરતી જાણ હોતી નથી.ઊંચા પર્વતો,સ્નો ફોલ,અસહ્ય ઠંડી વગેરેને લીધે અહીં ફરવા આવતા પ્રવાસીઓને શ્વાસની તકલીફ,માથાનો દુખાવો સહિતની અનેક શારીરિક તકલીફો થતી હોય છે.પ્રવાસીઓએ અહીં આવ્યા બાદ બેથી ત્રણ દિવસ સ્ટે કરીને અહીંના વાતાવરણ સાથે સેટ થવું પડતું હોય છે.ઉપરાંત,અહીં ટેક્સી ન મળવાથી માંડી ઘણી મુશ્કેલી પ્રવાસીઓને પડે છે.આ તમામ બાબતોને ધ્યાને રાખતા ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવશે.
જેમાં પ્રવાસીઓએ શું ધ્યાન રાખવું,શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેમજ લેહ સહિતના તમામ ટૂરિસ્ટ પોઈન્ટ પર હોટલોમાં કેટલા રૂમ ખાલી છે તે સહિતની માહિતી ઓનલાઈન મળી રહેશે.ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર તાશીએ વધુમાં જણાવ્યું કે અહીં પ્રવાસીઓ વધી રહ્યા છે અને ગ્લેશિયર પીગળવાની ઘટનાઓ બની રહી છે ત્યારે આ માટે લાંબા ગાળાનું આયોજન અમે કરી રહ્યા છે.આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ભારે ધસારો જોવા મળ્યો છે.હોટલો અને ટેક્સી ન મળવાથી મુશ્કેલી પડી છે.આ વર્ષની સિઝનમાં છેલ્લા થોડા સમયમાં જ પર્વતો પર ફરવા જવાને લીધે આઠ પ્રવાસીના મૃત્યુ થયા હતા.લદાખમાં 11,500થી વધુની ઊંચાઈ ધરાવતા ઊંચા પર્વતોને લીધે ઓક્સિજનની ખૂબ જ સમસ્યા છે.જેના કારણે જ અમે એડવાઈઝરી તૈયાર કરવાનું આયોજન કરી રહ્યા છે.