અમદાવાદ : એકસમયે શહેરીજનો માટે શ્રેષ્ઠ બસ સેવા ગણાતી એએમટીએસની હાલત સાવ કફોડી અને પ્રતિષ્ઠા તળિયે ગઇ છે,ત્યારે યુવાવર્ગને આકર્ષવાનાં નામે ડિજિટલાઇઝેશન અને પેટીએમ વગેરે દાવા કરનારા ભાજપનાં વર્તમાન હોદ્દેદારોનાં ગેરવહીવટના કારણે ઓટોમેટિક ટિકિટિંગ મશીન અને ટિકિટ રોલ પાછળ લાખોનો ખર્ચો કરાયા પછી પણ એક કરોડ ટિકિટ છપાવવાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.
કરોડોની ખોટમાં ચાલતી એએમટીએસને દેવામાંથી બહાર કાઢવાને બદલે હજુ પણ ખાનગી ઓપરેટરોનાં લાભાર્થે જ ચલાવવામાં આવતી હોય તેવો ઘાટ સર્જાયો છે.વર્તમાન પ્રભારી ધર્મેન્દ્રભાઇ શાહ તેમજ સ્ટે.કમિટી ચેરમેન હિતેષભાઇ બારોટ પણ કોઇ અકળ કારણોસર એએમટીએસના વહીવટમાં દખલગીરી કરતા નથી,જયારે પૂર્વ કોર્પોરેટર વલ્લભભાઇ પટેલને એએમટીએસનાં ચેરમેન બનાવવાથી કોઇ ફાયદો થયો નથી તે વાત ભાજપના સૌ કોઇ જાણે છે.તેમની સરખામણીએ અગાઉનાં બે ચેરમેન ચંદ્રપ્રકાશ દવે અને અતુલ ભાવસારની કામગીરી વધુ પ્રશંસનીય હતી તેમ ભાજપનાં આગેવાનો પણ સ્વીકારી રહ્યાં છે.
એએમટીએસમાં જૂના ટિકિટ બોક્સ અને પંચીગનો અવાજ બંધ કરી આધુનિકતા અને ડિજિટલાઇઝેશનની વાતો કરીને ઓટોમેટિક ટિકિટ મશીન તથા તેનાં રોલ પાછળ લાખોનો ખર્ચો કર્યા બાદ હાલમાં સંખ્યાબંધ મશીનો બંધ પડ્યા હોવાની અને રોલ પણ ધૂળ ખાતા હોવાની માહિતી આપતાં એએમટીએસના સૂત્રોએ કહ્યું કે,કેટલીય બસોમાં કંડકટરો જૂના ટિકિટ બોક્સ અને પંચીગનો ઉપયોગ કરતાં થઇ ગયાં છે.એટલું જ નહિ પેટીએમની વાતો કરનારા એએમટીએસના હોદ્દેદારોએ મનપસંદ પ્રવાસ યોજનાની એક કરોડ ટિકિટ છપાવવાનો ઓર્ડર આપવાની દરખાસ્ત પણ મંજૂર કરી નાખી છે.